રાજકોટ મોરબી હાઈવે ઉપર રાજકોટ તાલુકાના વિજયનગર ગામે રૂા.૧૦ કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ઉપર અનઅધિકૃત રીતે ખડકાયેલા આઠ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઇને રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રએ સપાટો બોલાવ્યો હતો.
વિશેષમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, સરકારી ખરાબાની સર્વે નં.૧૧૬ પૈકીની રાજકોટ-મોરબી હાઈવે પાસે આવેલી આ સરકારી ખરાબાની જમીનમાં છેલ્લા લાંબા સમયથી સોફાનું ગોડાઉન, કારખાનુ, ચાની હોટલો, રેસ્ટોરન્ટ સહિતના વાણિજિયક દબાણો ખડકાઈ ગયા હતા. સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા આ દબાણને હટાવવા માટે જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા સુચના અપાતા સીટી પ્રાંત-૨ અધિકારી મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન ડીમોલીશનની કામગીરી કરવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ મામલે અગાઉ કલેક્ટર તંત્ર દ્વારા સ્થળ તપાસ બાદ અગાઉ પુનાભાઈ, હિન્દાભાઈ, સામતભાઈ દેવાભાઈ, સનીમા લાલભાઈ, જુણેજા સાબીર, જૂનાભાઈ લાખ, લાલભાઈ નરીભાઈ મિયાત્રા, રશ્મિનભાઈ, પ્રકાશભાઈ નિમાવત, પ્રેમજી નાગજીભાઈ સહિતના કુલ આઠ દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી.તેમ છતા દબાણકારો દ્વારા દબાણ નહીં હટાવાતા અંતે ગઈકાલે રૂા.૧૦ કરોડથી વધુની સરકારી જમીન ઉપર ડીમોલીશન હાથ ધરી દબાણોની સાફસુકી કરવામાં આવી હતી. સિટી પ્રાંત-૧ અધિકારી મહેક જૈનના માર્ગદર્શન હેઠળ કરાયેલા આ ડીમોલીશનમાં નાયબ મામલતદાર ડી.એમ. વઘાસીયા, ભૂમિકાબેન લાપડીયા, શૈલેશ જાની, સાગર સાપડા તેમજ ર૫ જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો જોડાયો હતો.