જામનગર શહેરમાં હોળી-ધુળેટીના પર્વમાં હત્યાની કોશિષની બે ઘટના

  • March 26, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવાગામ ઘેડમાં હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં રાજપૂત યુવાન અને તેના બે મિત્રો પર હુમલો : હથીયારોથી તુટી પડયા, વાહનોમાં કરી તોડફોડ : શંકરટેકરીમાં હોળીની રાત્રે જુની અદાવતમાં યુવાન પર છરીથી હિંચકારો હુમલો

જામનગરમાં હોળી - ધુળેટીના પર્વમાં શહેરમાં બે ખુની હુમલાની ઘટના બની હતી, જેમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં વાહનનું હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી જેમાં બે ગરાસીયા યુવાન પર ખુની હુમલો કરાયો હતો આ અંગે આ વિસ્તારના શખ્સો સહિતનાઓ સામે ફરીયાદ કરવામાં આવી છે, ટોળાએ મરચાની ભૂકી છાંટી છરી તલવાર, પાઇપ, ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી વાહનમાં તોડફોડ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. બીજા બનાવમાં શંકર ટેકરી વિસ્તારમાં હોળીની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો, અને એક યુવાન પર જુની અદાવતનું મન દુ:ખ રાખીને છરી વડે હુમલો કરી હત્યારનો પ્રયાસ કરાયો હતો. યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે હુમલાખોર આરોપીની શોધખો હાથ ધરી છે.
જામનગરમાં નવાગામઘેડ ગાયત્રી ચોક વિસ્તારમાં રહેતા જયપાલસિંહ મનુભા જાડેજા નામના ૨૮ વર્ષના રાજપૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર અજયરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા તથા ઋષિરાજસિંહ ગોહિલ વગેરે પર છરી, તલવાર, લોખંડના પાઇપ, ધોકા જેવા ધારદાર હથિયારો વડે હુમલો કરી ખૂનની કોશિશ કર્યાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આરોપી  નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા રોહિત શિંગાળા, રોહિતનો ભાઈ સુનિયો શીંગાળા, મયુર શિંગાળા, રોહિત ચીના, દિનેશ ઉર્ફે ડુંગો, આદેશ શિંગાળા, સૂર્યો કોળી (સદામ શિંગાળાનો જમાઈ), નીતિન શિંગાળા, સાગર કોળી, અશોક શિંગાળા, મયુર ઉર્ફે ટીટો શિંગાળા, અને બે અજ્ઞાત પુરુષો, તથા ત્રણ અજાણી મહિલાઓ સહિત ૨૫ શખ્સો સામે ફરીયાદ કરી છે.
આ આરોપીઓ સામે  સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી. ઝા એ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૫,૩૨૪, ૩૨૩,૫૦૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને હુમલાના બનાવ બાદ ભાગી છૂટેલા તમામની શોધખોળ ચલાવાઇ રહી છે.
 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઈજા પામનાર હેમતસિંહ ગોહિલ કે જેમણે હુમલાખોર આરોપીઓ હોળીની રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના મોટરસાયકલમાં મોટા અવાજથી હોર્ન વગાડતા હતા, જેથી તેઓને હોર્ન વગાડવાની ના પાડતાં તેઓએ બોલાચારી કરી હતી. જે દરમિયાન અજયરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા બંનેએ સમજાવવા જતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને છરી, પાઇપ, તલવાર જેવા હથીયારો વડે અજયરાજસિંહ અને જયદીપસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો. આ વેળાએ ઋષીરાજસિંહ ગોહીલ બંનેને બચાવવા જતા ફરીયાદીને પછાડી દઇ ધોકા વડે ફ્રેકચર જેવી ઇજા કરી હતી તેમજ રુષીરાજસિંહને છરી અને ધોકા વડે ગંભીર ઇજા પહોચાડી હતી, ગાળા ગાળી કરી વાહનોમાં પથ્થર વડે નુકશાન કર્યુ હતું અજાણી મહીલાઓએ પથ્થરના ઘા કરી પાઇપથી માર મારી મરચાની ભુકી ઉડાડી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલો કરી તમામ આરોપીઓ ભાગી છૂટયા હતા જ્યારે ઇજાગ્રસ્તોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. મોડી રાત્રિના બનેલા  આ બનાવ બાદ નવાગામ ઘેડ સહિતના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઇ હતી, અને સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડતો થયો હતો. પોલીસ દ્વારા હુમલાખોર આરોપીઓની શોધખોળ ચલાવાઈ રહી છે.
અન્ય બનાવમાં જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા સુનિલ નથુરામ દુધરેજીયા નામના યુવાન પર હોળીની રાત્રે જૂની અદાવતનું મન દુ:ખ રાખીને તે જ વિસ્તારમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો ગોવિંદભાઈ પરમાર નામના શખ્સે પેટના ભાગે છરીના ઘા ઝીંકી દઈ ગંભીર ઇજા પહોંચાડી હતી. તેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
 આ હુમલાના બનાવ અંગે સુનિલના કાકા રસિકભાઈ મનીરામભાઈ દુધરેજીયા (ઉ.વ.૫૦)એ પોતાના ભત્રીજા પર જૂની અદાવતનું મનદુ:ખ રાખીને આ હુમલો કરી ખૂનની કોશિશ કરવા અંગે પ્રકાશ ગોવિંદભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવતાં સીટી સી. ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૩૦૭ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઈ રહી છે.
 ઇજાગ્રસ્ત તેમજ આરોપીને તાજેતરમાં દીપ સોંદરવાના પુત્રના બાલમોવારા ના પ્રસંગમાં ઝઘડો થયો હતો, અને માથાકૂટ ચાલતી હતી. જેનું મનદુ:ખ રાખીને આ જીવલેણ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
***
જામનગરમાં વાંકાનેરથી હોળીમાં આવેલા જમાઇ પર હુમલો: અમારી દીકરી માવતરે આવે ત્યારે તમારે ૫ હજાર વાપરવા આપવા પડે

જામનગરમાં વામ્બે આવાસમાં પોતાના સાસરે હોળી કરવા માટે આવેલા વાંકાનેરના યુવાનને બેટ મારીને ઇજા કર્યાનો મામલો પોલીસ મથકમાં પહોચ્યો હતો, અમારી પુત્રી જામનગર આંટો દેવા આવે ત્યારે તમારે ૫,૦૦૦ રૂપિયા સાથે આપવાના હોય તેમ કહીને માર માર્યાનું પોલીસમાં જાહેર થયું છે.
વાંકાનેર નજીક ખાનપર ગામના વતની પ્રવીણ રમેશભાઈ સરવૈયા (૨૪ વર્ષ) નામતો યુવાન ગત તા. ૨૩ના રોજ જામનગરના વામ્બે આવાસના આઠ માળીયા બિલ્ડિંગમાં રહેતા પોતાના સસરા ધીરુભાઈ ધરજીયાને ઘેર હોળીના તહેવારને લઈને આવ્યો હતો, અને પોતાની પત્નીને સાથે લાવ્યો હતો.
 દરમિયાન તેના સાસુ ભાનુબેન, સસરા ધીરુભાઈ તથા સાળા અનિરુદ્ધભાઈએ પૈસા વાપરવાના લઈ આવવા બાબતે તકરાર કરી હતી. અમારી પુત્રી જામનગર જ્યારે આંટો દેવા આવે, ત્યારે તમારે તેના હાથમાં ૫,૦૦૦ રૂપિયા વાપરવા માટે આપવાના તેમ કહ્યું હતું. પરંતુ જમાઈ પ્રવીણભાઈ પાસે તેટલી સગવડ ન હોવાથી પૈસા આપવાની ના પાડતાં ત્રણેય શખ્સો ઉસકેરાઈ ગયા હતા, અને જમાઈ પણ હુમલો કરી દીધો હતો, અને ક્રિકેટ રમવાનું બેટ માથામાં ફટકારી ઈજા પહોંચાડી હતી.
 જેથી સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને જમાઈ દ્વારા સાસુ-સસરા અને સાળા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પીએસઆઇ એન.પી. જોશી વધુ તપાસ ચલાવે છે.
***
સુરજકરાડીના અનુસૂચિત જાતિના યુવાનને અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા અજીતભાઈ રાજાભાઈ રોશિયા નામના ૪૨ વર્ષના અનુસૂચિત જાતિના યુવાનના પરિવારના એક મહિલાને આ જ વિસ્તારમાં રહેતા બીપીનભાઈ જેન્તીભાઈ કુબાવત સાથે કથિત રીતે આડા સંબંધ હોવાની બાબતે એકાદ માસ પૂર્વે ફરિયાદી અજીતભાઈ તથા આરોપી બીપીનભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે અંગેનો ખાર રાખી, આરોપી બીપીનભાઈએ ફરિયાદી અજીતભાઈ રોશિયાના ઘરે આવી અને તેમની સાથે બોલાચાલી કરી હતી.
આ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ પોતાના હાથમાં રહેલી છરી અજીતભાઈને મારી દેતા તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, આરોપી દ્વારા ફરિયાદી તથા તેમના પત્નીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે આઈપીસી કલમ ૩૨૬, ૫૦૬ (૨) તથા એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
દ્વારકાના યુવાનને મારી નાખવાની ધમકી
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા રૂખડભા ઉર્ફે રઘુભા કરમણભા માણેક નામના ૩૦ વર્ષના યુવાન સાથે "તારી પત્નીને સમાધાન માટે શું કામ મોકલે છે?" તેમ કહી, આરોપી બલવાન ઉર્ફે બલી વીરાભા માણેક (રહે. નરસંગ ટેકરી) દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરીને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આરોપી બલવાન ઉર્ફ બલી માણેક સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
***
સાધના કોલોનીમાં  મહિલાને ત્રાસ આપ્યાની દારુડિયા પતિ સામે રાવ
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં બ્લોક નંબર ૮૬ રૂમ નંબર ૪૧૮૫ માં રહેતી નિકિતાબેન પંકજભાઈ ડાંગર નામની ૨૫ વર્ષની પરણીત યુવતી એ મહિલા પોલીસ મથકમાં સંપર્ક કર્યો હતો, અને પોતાના પતિ પંકજ લાખાભાઈ ડાંગર સામે મારકૂટ કરી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાનો પતિ ઘરે અવારનવાર દારૂ પીને આવતો હોય અને નાની નાની બાબતોમાં વાંક કાઢી ગાળો આપી મારકૂટ કરે છે, જેનાથી કંટાળીને આ પોલીસ ફરિયાદ કરી છે. સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application