દેશની રાજધાની દિલ્હીમાં સમયાંતરે બનતી ભયાનક અગ્નિકાંડની ઘટનાઓએ નાગરિકોમાં અસુરક્ષાની ભાવના પ્રબળ બનાવી દીધી છે. વધુ નફો કમાવવાની લાલચમાં રહેણાંક અને વ્યાવસાયિક ઇમારતોમાં નિયમોની ખુલ્લેઆમ ધજ્જિયાં ઉડાવવામાં આવી રહી છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે છેલ્લા ૭ વર્ષમાં અગ્નિકાંડના કારણે ૫૦૦થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, છતાં જવાબદારો સામે કોઈ નક્કર કે દાખલારૂપ કાનૂની કાર્યવાહી થતી નથી. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસ માત્ર મિલકત સીલ કરવા સુધી જ સીમિત રહી જાય છે.દિલ્હીના ઇતિહાસને હચમચાવી દેનારા મોટા અગ્નિકાંડની વર્તમાન સ્થિતિ પર એક નજર:
૧. હૌઝરાની અને કરોલબાગ હોટેલ અગ્નિકાંડ
વિદેશીઓ સહિત ૨૧ના મોત, આરોપીઓ બહારહાલમાં જ દિલ્હીના હૌઝરાની વિસ્તારમાં આવેલા એક ગેરકાયદેસર હોટેલમાં લાગેલી ભીષણ આગમાં વિદેશી નાગરિકો સહિત ૨૧ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આવી જ ઘટના ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ કરોલબાગની 'અર્પિત હોટેલ'માં બની હતી, જેમાં ૧૭ લોકોના મોત થયા હતા. આ કેસમાં હોટેલ માલિકો સહિત ૭ લોકોને આરોપી બનાવાયા હતા, ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે પરંતુ ન્યાયિક પ્રક્રિયા એટલી ધીમી છે કે ૨૦૨૪થી તમામ આરોપીઓ જામીન પર મુક્ત થઈને બહાર ફરી રહ્યા છે. તે જર્જરિત હોટેલના સ્થાને હવે નવા નામે બાંધકામ પણ શરૂ થઈ ગયું છે.
૨. અનાજ મંડી અગ્નિકાંડ (૨૦૧૯)
૪૩ નિર્દોષોના મોત, ઇમારત ગોડાઉન બની ગઈ૮ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ રાણી ઝાંસી રોડ પર આવેલી અનાજ મંડીમાં લાગેલી ભયાનક આગમાં ૪૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં કોર્ટે માત્ર આરોપો નક્કી કર્યા છે અને હજુ નિયમિત ટ્રાયલ (સુનાવણી) ચાલી રહી છે. મુખ્ય આરોપીઓ મોહમ્મદ રેહાન અને મોહમ્મદ ઇમરાન સહિતના તમામ લોકો જામીન પર બહાર છે અને જે ઇમારતમાં કાળમુખી આગ લાગી હતી તે આજે ફરીથી ધમધમતું ગોડાઉન બની ગઈ છે.
૩. મુંડકા કોમર્શિયલ બિલ્ડિંગ અગ્નિકાંડ (૨૦૨૨)
૨૭ મોતો છતાં મુખ્ય આરોપીઓ મુક્ત૧Safe માર્ચ ૨૦૨૨ના રોજ મુંડકાની ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૨૭ લોકો જીવતા ભુંજાયા હતા. પોલીસે ૪,૦૦૦ પાનાની વિશાળ ચાર્જશીટ દાખલ કરી મકાનમાલિક મનીષ લાકડા અને ભાડૂતો સામે કલમો લગાવી હતી. આ કેસ હજી પણ અદાલતમાં વિચારાધીન છે, જ્યારે માર્ચ ૨૦૨૩માં જ મુખ્ય આરોપી મનીષ લાકડા અને ગોયલ બ્રધર્સને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આજે આ ઇમારત માત્ર એક ખંડેર બનીને ઉભી છે.
તાજેતરની ઘટનાઓ:- તપાસના નામે માત્ર 'તારીખો' અને વિલંબપાલમ રામ ચોક અગ્નિકાંડ (માર્ચ ૨૦૨૬)ચાર માળની ઇમારતમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં એક જ સંયુક્ત પરિવારના ૯ સભ્યોના મોત થયા હતા. મહિનાઓ વીતી ગયા હોવા છતાં પોલીસ હજી સુધી કોર્ટમાં ચાર્જશીટ (આરોપનામું) દાખલ કરી શકી નથી, કારણ કે ફોરેન્સિક અને ફાયર વિભાગના અંતિમ અહેવાલોની રાહ જોવાઈ રહી છે.
વિવેક વિહાર અગ્નિકાંડ (મે ૨૦૨૬)-: અહીં પણ એક ઇમારતમાં લાગેલી આગમાં ૯ લોકોના મોત થયા હતા. એક મહિનો થવા આવ્યો હોવા છતાં હજી માત્ર મેજિસ્ટ્રેટ તપાસ જ ચાલી રહી છે અને કોર્પોરેશને સ્ટ્રક્ચર રિપોર્ટ પણ સોંપ્યો નથી.દિલ્હીના સમગ્ર ઇતિહાસમાં માત્ર ૧૯૯૭નો 'ઉપહાર સિનેમા
અગ્નિકાંડ' (૫૯ મોતો) જ એવો એકમાત્ર કેસ છે જેમાં ૨૦ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ માલિકો પર રૂ. ૩૦-૩૦ કરોડનો દંડ કરાયો હતો અને જેલમાં વિતાવેલા સમયને જ સજા માની લેવાઈ હતી. કાનૂની છટકબારીઓ અને ધીમી ન્યાય પ્રણાલીના કારણે ગુનેગારો બચી જાય છે અને નિર્દોષ પરિવારો કાયમ માટે ઉજ્જડ થઈ જાય છે.