રાજકોટ મહાપાલિકામાં ઇન્ચાર્જ ટીપીઓ આર.ડી.પરમારએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં ડિમોલિશનનો દોર શરૂ થયો છે, ગઇ કાલે વેસ્ટઝોનમાં મવડી અને મોટા મવા વિસ્તારમાં ડિમોલિશન બાદ આજે રેલનગરના સાધુ વાસવાણી કુંજ માર્ગ ઉપર ગાર્ડન હેતુના પ્લોટમાં બનેલી ઓરડીઓ ઉપર બુલડોઝર ફેરવીને ૨૭.૫૮ કરોડની જમીન ખુલી કરાવી હતી.
વિશેષમાં મહાપાલિકા સેન્ટ્રલ ઝોનના ઝોનલ ટાઉન પ્લાનર એ જણાવ્યું હતું કે આજે વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારના સાધુ વાસવાણી કુંજ માર્ગ ઉપર પરસાણા પરિવારના સુરાપુરાની દેરીથી આગળ આવેલા ગાર્ડન હેતુ માટેના રિઝર્વ પ્લોટ નં.૭/એ-માં ચાર ઓરડી બનાવી દબાણ કરાયું હોવાનું માલૂમ પડતા આજે આ ઓરડીઓ તોડી પાડીને અંદાજિત રૂ ૨૭.૫૮ કરોડની કિંમતનો ૬૮૯૬ ચોરસ મીટરનો પ્લોટ દબાણ મુક્ત કરવામાં આવ્યો હતો.