કેન્દ્રીય કેબિનેટે PM-ગતિશક્તિ યોજના હેઠળ કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.1474 કરોડ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ ડબલ ટ્રેક સુવિધાથી ઓખા અને સલાયા બંદરો પરથી રેલવે દ્વારા માલ પરિવહનમાં વધારો થશે, જેનાથી બંને બંદરોનો વિકાસ થશે અને આર્થિક મજબૂતીકરણ થશે. અંદાજે દર વર્ષે 11 મિલિયન ટનનો ફ્રેઈટ ટ્રાફિક વધવાનો અંદાજ છે.
પ્રવાસીઓને ઝડપી, સલામત અને શ્રેષ્ઠ રેલવે સુવિધા મળશે
આ પ્રોજેક્ટથી દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકાના મંદિરો અને શિવરાજપુર બીચ જેવા પ્રખ્યાત ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાત લેતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ઝડપી, સલામત અને શ્રેષ્ઠ રેલવે સુવિધા મળશે.
12 સ્ટેશનો પ્રોજેક્ટમાં આવરી લેવાશે
159 કિલોમીટર લાંબા આ ડબલ પ્રોજેક્ટની કુલ કિંમત 1,457 કરોડ રૂપિયા છે. આમાં 7 મુખ્ય અને 143 નાના પુલનો સમાવેશ થાય છે અને કુલ 12 સ્ટેશનો ઓખા, મીઠાપુર, દ્વારકા, ગોરિંજા, ઓખામઢી, ભાટિયા, ભોપલકા, ભાટેલ, ખંભાળિયા, મોડપુર, અને કાનાલુસ આ રૂટમાં આવરી લેવામાં આવશે. પરિયોજના પૂર્ણ થવા પર દ્વારકા આવતા તીર્થયાત્રીઓને ઝડપી, સુરક્ષિત અને અવિરત મુસાફરીની સુવિધા મળશે. આ ઉપરાંત, ખાદ્ય મીઠા સહિત વિવિધ વસ્તુઓના માલ પરિવહનમાં પણ મહત્વપૂર્ણ વધારો થશે.
14 કરોડ કિલોગ્રામ CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે
આ પ્રોજેક્ટ ઓખા પોર્ટ અને સલાયા પોર્ટ જેવા મુખ્ય આર્થિક કેન્દ્રોને વધુ મજબૂત રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેનાથી લગભગ 11 મિલિયન ટન વધારાની માલ પરિવહન ક્ષમતા વિકસિત થશે. તેનાથી દર વર્ષે આશરે 14 કરોડ કિલોગ્રામ CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે લગભગ 56 લાખ વૃક્ષો વાવવાની સમકક્ષ છે. સાથે જ, દર વર્ષે 2.8 કરોડ લીટર ડીઝલની બચત અને આશરે 311 કરોડ રૂપિયાની લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે.