ચુંટણીઓને કારણે શાળા પ્રવેશોત્સવ હવે 26 થી 28 જુન દરમિયાન યોજાશે

  • June 10, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.આગામી તા 26,27 અને 28જૂન શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે. આ શાળા પ્રવેશોત્સવને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મહત્વની બ્રિફિંગ બેઠક યોજવામાં આવી હતી જેમાં આઈ એ એસ,આઈ પી એસ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ અગાઉ તા 18 થી 20 જુન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં આજે બદલાવ કરવામાં આવ્યો છે આ શાળા પ્રવેશોત્સવ શહેરી-ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત યોજવામાં આવશે. અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવશે. અધિકારીઓ એક પ્રાથમિક શાળા, બે માધ્યમિક શાળા તો એક ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લેશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ધ્યાનમાં લેવાયો છે.

આ વખતે પ્રથમ વખત શાળા પ્રવેશોત્સવમાં એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવમાં સંભવિત ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાના આધારે અવલોકન કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ તૈયાર કરી છે. સંભવિત ડ્રોપ આઉટવાળા વિદ્યાર્થીઓની યાદીના આધારે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

શાળા પ્રવેશોત્સવ માટે પ્રથમ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવે છે. તંત્ર જિલ્લાના તમામ અધિકારીઓને આ મામલે સૂચના આપે છે. અને પ્રવેશ માટે બાળકોનો સર્વે હાથ ધરવામાં આવે છે. જે બાળકો અમુક પરિસ્થિતિમાં શાળાથી દુર થઇ ન જાય છે. અથવા શિક્ષણથી વંચિત રહે છે. તેઓને શાળા પ્રવેશોત્સવ દરમિયાન ફરી દાખલ કરવામાં આવે છે. અને શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. આ ઉપરાંત મધ્યાહન ભોજનનો પણ લાભ મળે છે.

રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડી છે. દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય સરકારે શરૂ કરી છે. આજે બાળકને સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, સ્કીલ બેઈઝ્ડ એજ્યુકેશન શિક્ષકો દ્વારા સરકાર પૂરું પાડે છે.” વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું આહવાન કરતા તેમણે કહ્યું વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત માટે શિક્ષણ પાયામાં છે.

અહીં નોંધવું જરૂરી છે કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે અગાઉ એસ.એમ.સી ની રચનાને લઈને બે - બે વખત તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરી હતી. એસ એમ સીની રચનાને લઈને રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સો પહેલા જ કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application