વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતાં ત્યારે અચાનક બે મહિલા ઊભી થઈને હરણી બોટકાંડ અને આવાસ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા લાગી હતી. આ મહિલાઓની રજૂઆત સાંભળવાને બદલે ભૂપેન્દ્ર પટેલે સીધો તેમના પર આક્ષેપ લગાવ્યો કે, 'તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, એવું ન હોઈ શકે, એવી રીતે વાત ન થાય, પછી મળી જજો.' જોકે, સામે મહિલાઓએ તુરંત કહ્યું કે, 'અમે શાંતિથી મળવા માંગતા હતાં, દોઢ વર્ષથી ધક્કા ખાઈએ છીએ પરંતુ કોઈ અમને મળવા નથી દેતું.'
આ મહિલાઓ બોલતી હતી ત્યારે સુરક્ષાકર્મીઓ અને મહિલા પોલીસના સ્ટાફે મહિલાનું મોઢું દબાવી તેમને બોલતા રોકવામાં આવ્યા અને પછી બંને મહિલાઓને હોલની બહાર લઈ જવાઈ હતી. આ દરમિયાન બંને મહિલા અને તેમના પતિની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત પણ કરી હતી. બાદમાં પૂછપરછ કરીને તેમને મુક્ત પણ કરી દેવાઈ હતી.
મહિલાના નિવેદન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુફિયાણી વાત કરતા કહ્યું કે, 'જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોઈએ ત્યારે ત્યાં આ રીતે રજૂઆત કરવી એ આપણી સંસ્કારી નગરીને શોભે નહીં.' ત્યારે સવાલ એ થાય કે જે મહિલાઓએ પોતાનું બાળક ગુમાવ્યું હોય, જેની રજૂઆત કોઈ સાંભળતું ન હોય, જેને દોઢ વર્ષે પણ ન્યાય મળ્યો ન હોય તો તે પીડિત મહિલા છેવટે પોતાની રજૂઆત માટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આવે અને ત્યાં તેમને ચૂપ થઈ જવાનું કહેવાય, તેનું મોઢું દબાવી દેવામાં આવે શું એ ક્યાંના સંસ્કાર છે? મુખ્યમંત્રીએ બાદમાં અકળાઈને કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરોને કહ્યું કે, 'એ બેન સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છે, આપણે તેમની વાત પર ધ્યાન આપવાની જરૂર નથી.' ત્યારબાદ કાર્યક્રમમાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા, જેમાં બંને મહિલાનો અવાજ દબાઈ ગયો હતો.
આ ઘટનાને પગલે સવાલ એ થાય છે કે મૃદુ અને મક્કમના હોવાના દાવા કરનારા મુખ્યમંત્રીની મૃદુતા અને મક્કમતા ક્યાં ગઈ? ગૃહ રાજ્યમંત્રીના 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો'ના દાવા જમીની સ્તરે ક્યારે દેખાશે? મંત્રીઓ પીડિતોને ન્યાય અપાવવા સામેથી તેમની રજૂઆત ક્યારે સાંભળશે? ક્યાં સુધી પૈસા કમાવવાની લ્હાયમાં લોકો આવા નિર્દોષોના જીવ લેશે? અને સરકાર દર વખતે બીજી ઘટના ન બને ત્યાં સુધી આશ્વાસન અને સાંત્વના આપીને પોતાનો બચાવ કરતી રહેશે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech