દક્ષિણ ગુજરાતના સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બનેલી બે કોલેજીયન સખીઓના સામૂહિક આપઘાતની ઘટનાએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. આ કરુણ ઘટનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગનો ગંભીર કિસ્સો સામે આવતા વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ અને 'X' ના માલિક ઈલોન મસ્કે પણ આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કર્યો છે.
શું હતી ઘટના?
૬ માર્ચ, ૨૦૨૬ના રોજ સુરતના સણિયા કણદે સ્થિત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બી.કોમમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને બાળપણની સખીઓએ એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી પોલીસને ઇન્જેક્શન અને એનેસ્થેસિયાની દવાની બોટલો મળી આવી હતી.
ChatGPTનો ભયાનક દુરુપયોગ
આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે તપાસમાં બહાર આવ્યું કે આત્મહત્યા કરતા પહેલા બંને યુવતીઓએ ChatGPT નો ઉપયોગ કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, તેઓએ AI ટૂલ ChatGPT પર ‘How to commit suicide’ (આત્મહત્યા કેવી રીતે કરવી), ‘કઈ રીતે આત્મહત્યા કરી શકાય’ અને ‘કયા ડ્રગ્સનો ઉપયોગ કરવો’ જેવા પ્રશ્નો સર્ચ કર્યા હતા. AI દ્વારા મળેલી માહિતીના આધારે તેઓએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે.
ઈલોન મસ્ક અને વૈશ્વિક નેતાઓનું ટેન્શન
આ ઘટનાની ગંભીરતા જોઈને અમેરિકાના પોડકાસ્ટર કેટી મિલરે 'X' પર એક પોસ્ટ કરી લોકોને ચેતવ્યા હતા કે, "ભારતમાં બે મહિલાઓએ ChatGPT સાથે વાતચીત કર્યા પછી આત્મહત્યા કરી છે, મહેરબાની કરીને તમારા પ્રિયજનોને તેનો ઉપયોગ કરવા ન દો". આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ઈલોન મસ્કે 'Yikes' લખીને પોતાનો આઘાત વ્યક્ત કર્યો હતો. ટેકનોલોજીના માંધાતા દ્વારા અપાયેલી આ પ્રતિક્રિયાને કારણે AI ના નૈતિક ઉપયોગ અને સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
નિષ્ણાતોની ચેતવણી
AIના વધતા ઉપયોગ વચ્ચે સુરતની આ ઘટના એક લાલબત્તી સમાન છે. ટેક નિષ્ણાતો અને મનોવૈજ્ઞાનિકો આગ્રહ કરી રહ્યા છે કે યુવા પેઢી સોશિયલ મીડિયા કે AI ટૂલ્સ પર આત્મઘાતી સામગ્રી શોધે નહીં તે માટે ડિજિટલ મોનિટરિંગ અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવી અનિવાર્ય છે.