વારાણસીથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયા ફ્લાઇટ ૧૨૫૩નું લખનઉના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી લેન્ડિંગને કારણે વિમાનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. વિમાનના પાછળના ભાગમાં કાર્ગો ડબ્બામાં ધુમાડાના સિગ્નલ મળ્યા બાદ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાઇલટે સાવચેતીના પગલાં લેતા, વિમાનને લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 155 મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
અહેવાલો અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ 9-1253 વારાણસીથી દિલ્હી માટે રવાના થઈ હતી. ઉડાન દરમિયાન, પાછળના કાર્ગો ડબ્બામાં ધુમાડાના સિગ્નલ જોવા મળ્યા હતા. ત્યારબાદ, સલામતીના કારણોસર વિમાનને લખનૌ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. વિમાન સવારે 8:52 વાગ્યે લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
વિમાન એરપોર્ટ પર પહોંચતાની સાથે જ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને એલર્ટ કરવામાં આવી હતી. ટીમે તાત્કાલિક વિમાનનું દ્રશ્ય નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન, વિમાનની અંદર કે કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં કોઈ ધુમાડો જોવા મળ્યો ન હતો. ત્યારબાદ વિમાનને લખનૌ એરપોર્ટ સ્ટેન્ડ પર પાર્ક કરવામાં આવ્યું હતું. મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની પ્રક્રિયા સવારે 9:02 વાગ્યે શરૂ થઈ હતી. બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એરપોર્ટ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ મુસાફરો કે ક્રૂ સભ્ય ઘાયલ થયાના અહેવાલ નથી. સાવચેતીભર્યા ઉતરાણ બાદ, વિમાનનું ટેકનિકલ નિરીક્ષણ ચાલી રહ્યું છે.
ધુમાડાના સંકેત બાદ, વિમાનને ઉડાન ચાલુ રાખવાની મંજૂરી આપતા પહેલા તેનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પ્રારંભિક તપાસમાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં કે વિમાનની અંદર કોઈ ધુમાડો જોવા મળ્યો નથી, પરંતુ સલામતીના નિયમો અનુસાર વિગતવાર તપાસ ચાલી રહી છે.