૧.૨૧ લાખથી વધુ લોકોના આહાર પર કરાયેલા સંશોધનમાં બહાર આવ્યા ચિંતાજનક તારણો બહાર આવ્યા છે, ભોજનમાં કાર્બોહાઇડ્રેટનું અતિશય પ્રમાણ ડાયાબિટીસ અને મેદસ્વિતાને આમંત્રણ આપી રહ્યું છે
સ્વાદમાં સર્વોત્તમ પરંતુ પોષણક્ષમ નહિ આ ભોજનસૂચી
સમગ્ર વિશ્વમાં પોતાના અનોખા સ્વાદ અને મસાલા માટે જાણીતી ભારતીય થાળીના પોષણ મૂલ્ય પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવેલા એક વ્યાપક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીયોના રોજિંદા આહારમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ખૂબ વધારે છે, જ્યારે શરીર માટે અત્યંત જરૂરી એવા પ્રોટીનની ભારે અછત જોવા મળી રહી છે. પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ 'નેચર મેડિસિન' માં પ્રકાશિત થયેલો આ અહેવાલ દેશમાં વધી રહેલા ડાયાબિટીસ અને સ્થૂળતા (ઓબેસિટી) પાછળના મુખ્ય કારણો તરફ આંગળી ચીંધે છે.
સંશોધનના મુખ્ય તારણો
કાર્બોહાઇડ્રેટનો દબદબો
ભારતીયો પોતાની દૈનિક કુલ કેલરીના લગભગ ૬૨ ટકા હિસ્સો માત્ર કાર્બોહાઇડ્રેટમાંથી મેળવે છે, જે જરૂરિયાત કરતાં ઘણો વધારે છે.
પ્રોટીનની અછત
નિષ્ણાતો રોજના આહારમાં ઓછામાં ઓછું ૧૫ ટકા પ્રોટીન લેવાની સલાહ આપે છે, પરંતુ ભારતીય થાળીમાંથી માત્ર ૧૨ ટકા જ પ્રોટીન મળી રહ્યું છે.
પ્રાકૃતિક સ્ત્રોતની કમી
આહારમાં મળતું મોટાભાગનું પ્રોટીન વનસ્પતિજન્ય (પ્લાન્ટ બેઝ્ડ) છે. ડેરી પ્રોડક્ટ્સમાંથી માત્ર ૨ ટકા અને પ્રાણીજન્ય (એનિમલ) સ્ત્રોતમાંથી માંડ ૧ ટકા પ્રોટીન મળી રહ્યું છે.
ભૌગોલિક આહાર શૈલી
દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧.૨૧ લાખથી વધુ લોકો પર થયેલા આ સંશોધન મુજબ, દક્ષિણ અને પૂર્વ ભારતમાં સફેદ ચોખા,જ્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં ઘઉંના લોટનો વપરાશ સૌથી વધુ છે. મિલિટ્સ (મોટા અનાજ) નો ઉપયોગ માત્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક પૂરતો જ મર્યાદિત જોવા મળ્યો છે.
કેમ વધી રહ્યું છે બીમારીઓનું જોખમ?
માત્ર સફેદ ચોખા છોડીને ઘઉં કે મિલિટ્સ ખાવાથી સમસ્યા હલ નહીં થાય, જો કુલ કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ નિયંત્રિત કરવામાં ન આવે. વધુ પડતા કાર્બોહાઇડ્રેટ અને ખાંડના સેવનને કારણે ટાઇપ-૨ ડાયાબિટીસ, પ્રી-ડાયાબિટીસ અને પેટની આસપાસ જિદ્દી ચરબી (બેલી ફેટ) વધવાનું જોખમ ૧૫ થી ૩૦ ટકા સુધી વધી જાય છે.
થાળીને પૌષ્ટિક બનાવવાની જરૂરિયાત
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્વાદની સાથે સ્વાસ્થ્ય જાળવવા માટે ભારતીય આહારમાં સંતુલન લાવવું અનિવાર્ય છે. થાળીમાં દાળ, પનીર, દહીં, કઠોળ, સોયાબીન, ઈંડા અને ડ્રાયફ્રૂટ્સ જેવી પ્રોટીન સભર વસ્તુઓ ઉમેરવી જોઈએ. પ્રોટીન માત્ર સ્નાયુઓને મજબૂત નથી કરતું, પરંતુ તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.ઉત્તર અને મધ્ય ભારતમાં ઘઉંના લોટનો વપરાશ સૌથી વધુ છે. મિલિટ્સ (મોટા અનાજ) નો ઉપયોગ માત્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક પૂરતો જ મર્યાદિત જોવા મળ્યો છે.