શિપ-ટ્રેકિંગ ડેટા અને મરીન ટ્રાફિકના અહેવાલો અનુસાર, 28 ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ એલએનજી ટેન્કરે આટલા સંવેદનશીલ માર્ગને સુરક્ષિત રીતે પાર કર્યો હોય. આ જહાજની સફળતા અન્ય વેપારી જહાજો માટે નવો રસ્તો ખોલી શકે છે.
અદ્રશ્ય થઈને પાર કર્યું જોખમ
1,36,357 ક્યુબિક મીટર ક્ષમતા ધરાવતું આ ટેન્કર છેલ્લે 30 માર્ચે ખાડી વિસ્તારમાં દેખાયું હતું. ત્યારબાદ અનેક અઠવાડિયા સુધી તેનું લોકેશન ટ્રેસ કરી શકાયું નહોતું. નિષ્ણાતોના મતે ઈરાની દળોના હુમલા કે અટકાયતથી બચવા માટે જહાજે પોતાનું લોકેશન ટ્રાન્સમિશન (AIS) બંધ કરી દીધું હતું અથવા ખોટી ઓળખ સંખ્યાઓનો ઉપયોગ કર્યો હતો. હવે આ ટેન્કર ભારતના પશ્ચિમ કિનારા પાસે દેખાતા તે સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે.
ગેસ બજાર માટે આશાનું કિરણ
ICIS ના સિનિયર એનાલિસ્ટ એલેક્સ ફ્રોલીએ આ ઘટનાને ગેસ માર્કેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે. તેમના મતે એપ્રિલ મહિનામાં કતારના અનેક ટેન્કરોએ હોર્મુઝ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ ટેન્કર ભારતની નજીક પહોંચતા ભારતના ઊર્જા પુરવઠામાં સ્થિરતા આવવાની સંભાવના છે. ફ્રોલીએ ચેતવણી પણ આપી છે કે એક જહાજના પાર થવાનો અર્થ એ નથી કે હવે બધા જહાજો સુરક્ષિત રીતે પસાર થઈ શકશે, કારણ કે યુદ્ધની સ્થિતિ સતત બદલાઈ રહી છે.
જહાજોની બચાવ વ્યૂહરચના
ખાડી વિસ્તારમાં કાર્યરત જહાજો અત્યારે ઈરાની કોસ્ટ ગાર્ડથી બચવા માટે 'ગોસ્ટ મોડ' (Ghost Mode) નો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ પોતાની સાચી ઓળખ છુપાવવા માટે અન્ય જહાજોના આઈડેન્ટિફિકેશન નંબર (MMSI) નો પણ ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ADNOC એ સુરક્ષાના કારણોસર આ મુસાફરી અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
શા માટે મહત્વનું છે આ રસ્તો?
વિશ્વના કુલ એલએનજી અને તેલ પરિવહનનો મોટો હિસ્સો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. ઈરાને અગાઉ ધમકી આપી હતી કે તે આ રસ્તો બંધ કરી દેશે. જો આ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય, તો વૈશ્વિક સ્તરે ઊર્જાના ભાવમાં આસમાની ઉછાળો આવી શકે છે. આવી સ્થિતિમાં, એક જહાજનું પણ સફળતાપૂર્વક પસાર થવું એ મનોવૈજ્ઞાનિક રીતે બજાર માટે હકારાત્મક સંકેત છે.