શ્રીલંકા બાદ તમિલનાડુમાં ત્રાટકેલા દિતવાહ ચક્રવાતની અસરના કારણે હાલારમાં માવઠાની હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. વાવાઝોડાના કારણે આગામી તા.૭ અને ૮ ડીસેમ્બરના કમોસમી વરસાદની શકયતા છે. માવઠું થશે તો ધાણા,જીરૂ, ચણાના પાકને વધુ નુકસાની ભીતિ કૃષિ તજજ્ઞોએ વ્યકત કરી છે. જયારે ઘઉંના પાકને નહીંવત અસર થશે તેમ જણાવ્યું છે.
દિતવાહ ચક્રવાતે શ્રીલંકામાં ભારે તારાજી કરી હતી. ત્યારબાદ આ વાવઝોડું તમિલનાડુમાં ત્રાટકયું છે. ત્યાં પણ વ્યાપક નુકસાન થયું છે. જો કે, આ વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા નબળું પડયું છે. પરંતુ દિતવાહ ચક્રવાતની અસર ગુજરાત પર પણ થવાની શકયતા છે. કારણ કે, આ વાવાઝોડાના કારણે રાજયના અન્ય જિલ્લાની સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી તા.૭ અને ૮ ડીસેમ્બરના બંને જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શકયતા છે.
આથી ખેડૂતો પર પુન: ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે, હજુ આ પહેલા પડેલા માવઠાની કળ ખેડૂતોને વળી નથી. પાક નુુકસાનની સહાય પણ મળી નથી. ત્યારે આ કપરી સ્થિતિમાં માવઠાથી ે શિયાળુ વાવેતર પણ ખતરો ઉભો થયો છે. કારણ કે, બંને જિલ્લામાં ઘાણા, જી, ચણાનું મહદઅંશે વાવેતર થઇ ચૂકયું છે. જયારે ઘઉંનું વાવેતર પણ થઇ ગયું છે. અમુક ખેડૂતો દ્રારા આ વાવેતર બાકી છે. આ સ્થિતિમાં માવઠું થશે તો જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ઘાણા, જીરૂ, ચણાના પાકમાં ફૂગનો રોગ થતા સૌથી વૂધુ નુકસાનની ભીતિ કૃષિ તજજ્ઞોએ દર્શાવી છે. જયારે કમોસમી વરસાદથી ઘઉંના પાકને નહીંવત અસર થશે તેમ જણાવ્યું છે. ગ્લોબલ વોર્મીંગના કારણે ઋતુચક્રમાં ફેરફાર વચ્ચે ચક્રવાતના કારણે સતત માવઠાના દૌરના કારણે ખેડૂતો સતત ચિંતા સાથે મૂંઝવણ અનુભવી રહ્યા છે.
વાતાવરણમાં પલટો આવે તો પાકમાં રોગના નિયંત્રણ માટે ફુગનાશક દવાનો છંટકાવ કરવો દિતવાહ ચક્રવાતના પગલે હવામાન વિભાગ દ્વારા હાલારમાં આગામી તા.૭ અને ૮ ડીસેમ્બરના માવઠાની આગાહી કરવામાં આવી છે. આથી શિયાળુ પાક પર ખતરાના વાદળો ઘેરાયા છે. ત્યારે જો વાતાવરણમાં પલટો આવે અને માવઠુ થાય તો પાકમાં જર મુજબ નિયમિત ફુગનાશક દવાનો છંટકાવ કરવા જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ કાંતિભાઇ બારૈયાએ જણાવ્યું હતું. કારણ કે, જો માવઠું થાય તો પાકમાં ફુગજન્ય રોગના કારણે છોડ નાશ પામે અને પાક નિષ્ફળ જાય છે.