ભૂપેન્દ્ર રોડ પર જીજ્ઞેશ દાદાની કથામાં દાગીના સેરવી લેનાર ટોળકી ઝડપાઇ

  • May 30, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં જીજ્ઞેશ દાદાની કથામાં મહિલાના ગળામાંથી દાગીના સેરવી લેનાર ત્રણ મહિલા સહિત ચારને એ.ડિવિઝન પોલીસે દબોચી લઈ રૂ.૩.૩૯ લાખના દાગીના કબજે કર્યા હતાં. કથામાં ભીડનો લાભ લઇ બે મહિલાના ગળા અડવા કરી સોનાનો ચેઇન અને મંગળસૂત્ર ચોરી નાસી છૂટ્યા હતાં.

બનાવ અંગે રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતાં શિક્ષક હિતેષભાઈ રમેશભાઈ ડોલર (ઉ.વ.૨૪) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૨૫ ના તેઓ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદીર (બોરડીવાળુ), ભુપેન્દ્ર રોડ ખાતે ભૂષણ ગ્રુપ ઓફ સ્કૂલ્સ આહિર પરડવા પરિવારના આંગણે આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગયાં હતાં. કથાનો પાંચમો દિવસ હતો અને કથાના વક્તા શ્રી જીગ્નેશ દાદા કથા વિરામ બાદ જતા હતા ત્યારે મંદિરના પટાંગણમાં તેમના દર્શન માટે બધા ભેગા થયા હતા. ત્યારબાદ ભીડ ઓછી થતા જાણવા મળેલ કે, ભાગવત કથામાં સુરતથી તેમના મોટા બાપુજીના દીકરી મનીષાબેનના સાસુ હેમીબેન નકુમ આવેલા હતા તેઓ પણ દર્શનાર્થે જીગ્નેશ દાદાની કાર પાસે ગયેલ હતા.

તે વખતે તેમણે ગળામા પહેરેલ આશરે ૧૫ ગ્રામ વજનનો સોનાનો ચેઈન તેમના ગળામાં જોવા મળેલ નહી જેથી તેમણે આ વાતની જાણ કરતા કથા સ્થળે તપાસ કરતા ચેઈન મળી આવેલ નહિ, જેથી અજાણ્યાં શખ્સો બહેનના સાસુએ ગળામાં પહેરેલો તેમનો સોનાનો ચેન ભીડનો લાભ લઇ કોઈ ચોરી કરી લઈ ગયો હતો.

તેમજ તે જ રીતે અન્ય એક મહિલાનો સોનાનો ચેઇન પણ આ જ રીતે ચોરી થયો હતો. જે અંગે એ. ડિવિઝન પોલીસ મથકમાં બે ગુના નોંધાયા હતાં.

બનાવને લઇ એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટની રાહબરીમાં પીએસઆઈ એસ.એમ.રાણા ટીમે તપાસ શરૂ કરી હતી. હેડ કોન્સ્ટેબલ કલ્પેશ બોરીયા અને મહેશ ચાવડાને મળેલ ચોક્કસ બાતમીના આધારે પેલેસ રોડ પાસેથી ત્રણ મહીલા તથા એક પુરૂષને શંકાસ્પદ હાલતમાં જોવા મળતાં તેને અટક કરી તેની પાસે રહેલ થેલીમાં જોતા સોનાના દાગીના જેમા એક સોનાનો ચેઇન તથા સોનાનું મંગળસુત્ર મળી આવ્યું હતું. જે અંગે પુછપરછ કરતા સોનાનો ચેઇન તથા સોનાનુ મંગળસુત્ર પોતે ત્રણ દિવસ પહેલા ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ મંદિરના ગેઇટ પાસે બપોરે પ્રસાદીના સમયે માણસોની ભીડ હતી તે દરમ્યાન મંદિરે દર્શન કરવા આવેલ દર્શનાર્થી બે અલગ અલગ મહીલાઓએ ગળામાંથી નજર ચુકવી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે કમલેશ ગોવીંદ વાઘેલા (ઉ.વ.૨૬), મંજુબેન વિનુ બજાણીયા (ઉ.વ.૪૯), લક્ષ્મીબેન ઉર્ફે ભોટી અજીત ઠાકોર (ઉ.વ.૩૮) (રહે. ત્રણેય મહેમદાબાદ રેલ્વે સ્ટેશન જુની કાગળની ફેકટ્રીની બાજુમા ઝુપડામાં, ખેડા) અને શકુબેન સંનજ રાવળ (ઉ.વ.-૨૯, રહે, એરંજ ગામ મહુઢા ડાકોર રોડ તલાળ પાછળ સોનવાલ હાઈસ્કુલની બાજુમાં મહુઢા-ખેડા ની ધરપકડ કરી સોનાનો ચેઇન અને સોનાનું મંગલસૂત્ર મળી રૂ.૩.૩૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ મંદિરે દર્શન કરવા આવતા હોય અને ભડીનો લાભ લઈ દર્શનાર્થીઓએ ગળામાં પહેરેલ દાગીના નઝર ચુકવી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આરોપી કમલેશ વિરુદ્ધ હત્યાનો એક ગુનો, મંજુ વિરૂદ્ધ દારૂના બે ગુના અને લક્ષ્મી વિરુદ્ધ ચોરીના અનેક ગુના નોંધાયેલ છે.


પોલીસે ચોટીલામાં વોચ ગોઠવી હતી અને ટોળકી ચોરીના ઇરાદે ફરી રાજકોટમાં આવી

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, ચોરીની ઘટના બાદ પોલીસે તપાસ કરી આરોપીના સગડ મેળવી લીધા બાદ તે ચોટીલામાં ગેસ્ટ હાઉસમાં હોવાની માહિતી મળતા પોલીસ અહીં પહોંચી હતી.અહીં તેમનો સામાન પડયો હોય પણ આરોપી મળી આવ્યા ન હતાં.મોબાઇલ નંબરના આધારે લોકેશન ચેક કરતા તે રાજકોટમાં ધાર્મિક સ્થળ પાસે હોવાનું માલુમ પડતા તુરંત અન્ય ટીમ અહીં મોકલી આરોપીઓને દબોચી લીધા હતાં. આરોપીઓ ફરી અહીં ચોરીના બનાવને અંજામ આપવા આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application