કાર્યક્રમના જીવંત પ્રસારણમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના અધિકારીઓ થયા સહભાગી
ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેઈજીની ૧૦૧મી જન્મજંયતીના દિવસે નર્મદા હોલ, સ્વર્ણિમ સંકૂલ-૧, ગાંધીનગર ખાતેથી સુશાસન દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્રના જિલ્લા કક્ષાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને કાર્યક્રમના જીવંત પ્રસારણમાં સહભાગી બન્યા હતા.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્મયોગી પ્રશિક્ષણ મિશનનો પ્રારંભ, ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનની વેબસાઇટનું અનાવરણ, ડિજિટલ ચેકબોર્ડ, ક્યુઆર કોડ, અટલ સ્વાન્ત: સુખાય યોજનાના વેબપોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇ-ગવર્નન્સ અને ડિજિટલ ઈન્ડિયા, ટેકનોલોજી આધારિત સુશાસન માટેની નવી નીતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વહીવટમાં પારદર્શિતા અને નિર્ણયોમાં ગતિશીલતા સાથે ગુજરાતે સુશાસનના નવા આયામો સિદ્ધ કર્યા છે.

સુશાસન દિવસ નિમિતે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કાર્યક્રમના જીવંત પ્રસારણમાં જોડાયા હતા.