ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સને દબોચી લીધા છે. એટીએસને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેથી તેના ઉપર વોચ રાખવામાં આવી હતી. જે બાદ ATSની ટીમ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બપોરે એટીએસ સત્તાવાર માહિતી આપશે
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના અડાલજ પાસેથી આ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્રણેય શખ્સ કઈ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. કોઈ આતંકી હુમલા સહિતના કોઈ ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ તે સમગ્ર મામલે હાલ ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બપોરે 1:00 વાગ્યે સત્તાવાર રીતે ગુજરાત ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવશે.
આરોપીઓની દેશના અનેક સ્થળે હુમલો કરવાની યોજના હતી
આ આતંકીઓ હથિયારોની આપ-લે કરવા માટે ગુજરાત આવતા હતા, અને તેમની યોજના દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની હતી. ધરપકડ કરાયેલા આતંકીઓ બે અલગ-અલગ મોડ્યુલનો ભાગ હોવાનું સામે આવ્યું છે. ATSની રડારમાં રહેલા આતંકીઓ દેશના કયા સ્થાનો પર હુમલો કરવાના હતા તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે
અગાઉ AQISનો પ્રચાર પ્રસાર કરતા 4ની ધરપકડ કરાઈ હતી
ગુજરાત ATSએ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા.