બોર્ડની પૂરક પરીક્ષા પૂર્વે કાઉન્સિલિંગ માટે સોમવારથી હેલ્પલાઇન શરૂ કરાશે

  • June 12, 2025 09:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા, પોતાના પરિણામથી સંતોષ ન હોય તેવા અને ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ માટે આગામી તારીખ 23 થી પુરક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા તારીખ 23 જૂનથી ત્રણ જુલાઈ સુધી ચાલશે. આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને મૂંઝવતી સમસ્યાઓના નિરાકરણ માટે અને વાલીઓ તથા શાળાઓને સમયસર પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત બોર્ડના સચિવ આર. આર.વ્યાસ દ્વારા કરવામાં આવી છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ આ ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા આગામી તારીખ 16 જૂનથી શરૂ થશે અને તારીખ 3 જુલાઈ સુધી તે ચાલુ રહેશે. ટોલ ફ્રી હેલ્પલાઇનનો નંબર 1800 233 5500 જાહેર કરવામાં આવ્યો છે, વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળા સંચાલકો સવારના 11 થી 6 વાગ્યા દરમિયાન તેનો સંપર્ક સાધી શકશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવા માટે આ ટોલ ફ્રી સેવામાં એક્સપર્ટ કાઉન્સિલર અને સાયકોલોજીસ્ટ ઉપસ્થિત હશે અને મુંજવણભર્યા પ્રશ્નોના ઉકેલ તથા માર્ગદર્શન આપવામાં આવશે.

શિક્ષણ બોર્ડે આ વર્ષે પ્રથમ વખત ધોરણ 10 અને ધોરણ 12 ના વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 'બેસ્ટ ઓફ ટુ' ની નવી સિસ્ટમ જાહેર કરી છે. આ સિસ્ટમ મુજબ જો કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામથી સંતોષ ન હોય તો પૂરક પરીક્ષા આપી શકે છે અને બેમાંથી જે પરીક્ષાનું પરિણામ પોતાને યોગ્ય લાગે તે સ્વીકારી શકે છે. આ સિસ્ટમ મુજબ સંખ્યાબંધ વિદ્યાર્થીઓ બોર્ડની તાજેતરમાં લેવાયેલી પરીક્ષાના પરિણામમાં પાસ થયા હોવા છતાં નવેસરથી પૂરક પરીક્ષા આપી રહ્યા છે. 1,00,000 થી વધુ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના હોવાથી તેની વ્યવસ્થા માટેની તૈયારીમાં બોર્ડનું સમગ્ર તંત્ર લાગી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application