રાજકોટમાં હિસ્ટ્રીશીટર સંજય વાઘેલા અને સાગરીત પ્રશાંત બાવાજીનો પોલીસે વરઘોડો કાઢ્યો, એસટીના ડ્રાઈવર-કંડકટર ઉપર હિચકારો હુમલો કર્યો'તો

  • May 06, 2025 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં બેફામ બનેલા રીક્ષા ચાલકો અને તેની દાદાગીરી અસહ્ય જોવા મળી રહી છે. માધાપર, ગોંડલ, આજીડેમ અને ગ્રીનલેન્ડ ચોકડી સહિતના સર્કલ અને ચોક પાસે ઉભતા રીક્ષા ચાલકો સિગ્નલ તોડી આડેધડ રીક્ષા હંકારી અકસ્માતો પણ સર્જી રહ્યા છે અને માથે જતા નિર્દોષ વાહન ચાલકોને માર મારી લુખ્ખી દાદાગીરી કરતા હોવાનું અનેક વખતે સામે આવ્યું છે. આવી જ લુખ્ખી દાદાગીરી કરી ગોંડલ ચોકડી પાસે એસટીના ડ્રાઈવર ઉપર છરી ધોકાથી હિચકારો હુમલો કર્યો હતો. છોડાવવા વચ્ચે પડેલા કંડકટરને પણ ધોકા અને ઢીકાપાટુનો માર મારતા બંનેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. 

જાહેરમાં હુમલાના બનાવમાં આજીડેમ પોલીસે ગણતરીની કલાકોમાં રીક્ષા ચાલક અને તેની સાથેના શખસને ઝડપી લઇ હુમલો કર્યો હતો એ સ્થળ પર લઈ જઈ બે હાથ જોડાવી માફી માગતો વરઘોડો કાઢ્યો હતો.


રસ્તો તારા બાપ નો છે? 

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-ગોંડલ-રાજકોટ એસટી રૂટની બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.43) અને કંડકટર તરીકે ફરજ બજાવતા સંદીપસિંહ ગુલાબસિંહ પરમાર (ઉ.વ.48) બંને તા.4ના ગોંડલથી રાજકોટ બસ લઇને આવી રહ્યા હતા ત્યારે ગોંડલ ચોકડી ઓવર બ્રિજ પાસે રિક્ષા ચાલકએ રિક્ષા રસ્તામાં ઉભી રાખી દીધી હોવાથી ડ્રાઈવર કિશોરસિંહએ પાછળથી હોર્ન મારતા રિક્ષા ચાલક સહીત ત્રણ શખસો નીચે ઉતરી ડ્રાઈવર પાસે આવી હોર્ન કેમ મારે છે, રસ્તો તારા બાપ નો છે ? કહી ગાળાગાળી કરી ધોકા વડે હુમલો કરી મારમારવા લાગ્યા હતા.


ત્રણેય રિક્ષા હંકારી નાસી ગયા હતા

છોડાવવા વચ્ચે પડેલા કંડકટર સંદીપસિંહને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન રિક્ષા ડ્રાઈવર સંજયએ નેફામથી છરી કાઢી હુમલો કરતા હાથના ભાગે ઇજા થઇ હતી. દેકારો થતા માણસો ભેગા થઇ જવાથી ત્રણેય રિક્ષા હંકારી નાસી ગયા હતા અને કોઈએ 108ને ફોન કરતા ડ્રાઈવર કંડકટર બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


વધુ કાર્યવાહી આજીડેમ પોલીસે હાથ ધરી

બનાવ અંગે આજીડેમ પોલીસે ડ્રાઈવર કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા (રહે-મીરાંબાઈ ટાઉનશીપ પાલ રોડ, મવડી)ની ફરિયાદ પરથી રીક્ષા ચાલક સંજય અને તેની સાથેના અજાણ્યા શખ્સ સામે સરકારી ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આજીડેમ પોલીસે ચોક્કસ બાતમીના આધારે રીક્ષા ચાલક સંજય રમેશભાઈ વાઘેલા (રહે-કોઠારીયા સોલવન્ટ, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર) અને તેની સાથેના પ્રશાંત ત્રિલોકપરી ગોસ્વામી (રહે-ગાયત્રીનગર શાક માર્કેટની બાજુમાં, સહકાર રોડ)ને ઝડપી લઇ સરભરા કરી ગોંડલ ચોકડી ઓવર બ્રિજ પાસે જાહેરમાં લઈ જઈ બંનેનો વરઘોડો કાઢ્યો હતો. દરમિયાન બંને શખસોએ હાથ ઉંચા કરી જાહેરમાં માફી માગી હતી. વધુ કાર્યવાહી આજીડેમ પોલીસે હાથ ધરી છે.


સંજય સામે રાયોટ,દારૂ, જુગારના સાત, પ્રશાંત સામે મારામારી સહિતના પાંચ ગુના

પોલીસે બંને શખસોનો ગુનાહિત ઇતિહાસ તપાસતા સંજય વાઘેલા સામે ભક્તિનગરમાં ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરવાના બે, આજીડેમમાં જુગાર, જાહેરનામા ભંગના બે, માલવીયાનગરમાં રાયોટ,કુવાડવા અને ડીસીબીમાં દારૂના એક એક ગુના નોંધાયેલા છે. જયારે પ્રશાંત સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ધમકી, ડીસીબીમાં જુગાર-દારૂ, આજીડેમમાં મારામારી અને વલસાડ ગ્રામ્યમાં દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application