પતિ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ ન હોવા છતા પુત્રવધુ પર વારસદાર આપવા માટે દબાણ કરી સાસરીયા ત્રાસ ગુજારતા હતાં. જે અંગે હાલ માવતરના ઘરે જસદણના જંગવડમાં રહેતી પરિણીતાએ સુરતમાં રહેતા સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
હાલ જસદણના જંગવડમાં રહેતી પરિણીતાએ આટકોટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતમાં મોટા વરાછા વિસ્તાર સેટેલાઈટ રોડ પર રહેતા પતિ પાર્થ હસમુખભાઈ પરસાણા, સાસુ જ્યોત્સનાબેન, સસરા હસમુખભાઈ, જેઠ ધાર્મિક, જેઠાણી રિદ્ધિબેન, ફઈજી આશાબેન અને આશાબેનના પતિ શૈલેષભાઈ દેસાઈના નામ આપ્યા છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે એમ.એ.એમ અને આઈ.એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. ગઈ તારીખ 6/2/2022 ના તેના લગ્ન સુરતમાં રહેતા પાર્થ પરસાણા સાથે થયા હતા. લગ્ન બાદ તે અહીં સંયુક્ત કુટુંબમાં સાસરીયે રહેતી હતી લગ્ન તથા લગ્ન બાદ પિયરપક્ષ તથા સગા સંબંધીઓ તરફથી મળેલ કરિયાવર તથા ભેટમાં મળેલા કપડાં, દાગીના, રોકડ રકમ લઈ તેઓ અહીં સાસરીયે આવ્યા હતા.
લગ્નના બે મહિના બાદ પરિણીતાને જાણ થઈ હતી કે, પતિ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી તે શારીરિક સંબંધ બાંધવા માટે દવાઓ લેતા હોય તેમ છતાં તેઓ શારીરિક સંબંધ બાંધવા માટે અસક્ષમ હતા અને તે અંગે લગ્ન બાદ પરિણીતાએ બે મહિના પછી જેઠાણી તથા પરિવારના સભ્યોને વાત કરી હતી. પરંતુ તેઓ પતિની યોગ્ય સારવાર કરાવવાના બદલે પરિણીતાને જેમ ફાવે તેમ બોલવા લાગેલ. પરિવારના સભ્યોને આ વાતની જાણ હોવા છતાં પુત્રવધુ પર સંતાન બાબતે સાસુ- સસરા, જેઠાણી સહિતના મેણાટોણા મારી તેમના પરિવારને વારસદાર આપવા દબાણ કરતા પરંતુ તેઓ પતિની તકલીફ જોતા નહીં ઉલટાનું સંતાન બાબતે પરિણીતાને સંભળાવી ત્રાસ આપતા હતા. ફઇજી આશાબેન તથા તેના પતિ શૈલેષભાઈ અવારનવાર ઘરે આવતા હતા તે તથા સાસુ-સસરા અને જેઠ- જેઠાણી બધા પતિની ચડામણી કરતા હતા જેથી પતિ અવારનવાર પત્ની પર હાથ ઉપાડતો હતો તેમજ સાસરીયાઓ કહેતા હતા કે, પતિને જે તકલીફ છે તે અંગેની કોઈને વાત કરવાની નથી અને ઘરની વાત ઘરમાં રાખવાની છે તેમ કહી પરિણીતાને સંતાન અંગે મેણાટોણા મારી દુઃખ ત્રાસ આપતા હતા. પરંતુ પરિણીતા ભવિષ્યનો વિચાર કરી આ બધું મોંઘા મોઢે સહન કરતી હતી.
બાદ ગઈ તા. 18/3/2024 ના પતિ પત્નીને સુરત પિયર મૂકવા આવ્યો હતો અને અહીં એક દિવસ રોકાયો હતો. તે સમયે તેણે સસરા સાથે પણ ગેરવર્તન કર્યું હતું અને જેમ ફાવે તેમ બોલી ગાડી લઈને પત્નીને મૂકીને જતો રહ્યો હતો. ત્યારબાદ પરિણીતા પિતાના ઘરે રહેતી હતી હાલ તે માતા-પિતા સાથે મૂળ વતન જંગવડ ગામે રહે છે. પતિ મૂકીને ગયા બાદ આજદિન સુધી કોઈ વાતચીત થઈ નથી સમાધાન માટેના પ્રયત્નો કરવા છતાં જવાબ આપતો ન હતો. ઊલટું સાસરિયાઓ પરિણીતાના માતા-પિતાને કહે છે કે, અમારે તમારી દીકરી જોઈતી નથી અને જો પરાણે તમારી દીકરીને મોકલશો તો અમે તેને જીવતી રહેવા નહીં દઈએ તેવી ધમકીઓ આપે છે. જેથી અંતે પરિણીતાએ આ મામલે પતિ સહિતના સાસરીયાઓ સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.