ગુજરાતના ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ન્યૂનતમ ટેકાના ભાવ કમિટીની એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા આગામી વર્ષ 2026-27 માટે વિવિધ પાકોના ટેકાના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ કરવાનો હતો.
વર્ષ 2026-27 માટે ભાવોનું સૂચન
આ બેઠકમાં ખાસ કરીને રવિ અને ખરીફ પાકોના ઉત્પાદન ખર્ચ, બજારની સ્થિતિ અને ખેડૂતોની આર્થિક સુખાકારીને ધ્યાનમાં રાખીને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. આગામી વર્ષ 2026-27 માટે જીરું, ઘઉં, રાયડો અને અન્ય તેલીબિયાં સહિતના પાકો માટે વાજબી ભાવની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે."
આ બેઠકમાં કૃષિ અને સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓ પણ ખાસ હાજર રહ્યા હતા. કિસાન સંઘના પ્રતિનિધિઓએ ખેતીના વધતા જતા ખર્ચ, બિયારણ, ખાતર અને મજૂરીના દરો અંગે રજૂઆત કરી હતી. સરકારે આ રજૂઆતોને ગંભીરતાથી સાંભળીને ખાતરી આપી હતી કે ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે રીતે ભલામણો તૈયાર કરવામાં આવશે.
કેન્દ્ર સરકારને કરાશે ભલામણ
રાજ્ય સ્તરેથી તૈયાર થયેલો આ રિપોર્ટ હવે કેન્દ્રના કૃષિ મંત્રાલય અને 'કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસીસ' ને મોકલવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્યની આ ભલામણોના આધારે આગામી સીઝન માટે દેશવ્યાપી એમ એસ પી જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે પણ રાજ્યમાં મગફળી, સોયાબીન અને અડદ જેવી જણસોની મોટા પાયે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે, જેનાથી લાખો ખેડૂતોને સીધો ફાયદો થયો છે. આ બેઠક બાદ આશા સેવાઈ રહી છે કે વર્ષ 2026-27માં પણ ખેડૂતોને ગત વર્ષ કરતા વધુ સારા ભાવ મળી રહેશે.