ઈન્ડિગો એરલાઇન્સની ઓપરેશનલ સમસ્યાના કારણે એક સપ્તાહથી દેશભરની ફ્લાઈટના શેડ્યુલ ખોરવાતા હજારો મુસાફરો રઝડી પડ્યા હતા. એરલાઇન્સ દ્વારા સ્થિતિ થાળે પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જેના ભાગરૂપે રવિવાર સુધીમાં દેશભરના મુસાફરોને ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા રૂપિયા 610 કરોડનો રિફંડ ચૂકવી દેવામાં આવ્યું છે. જેમાં રાજકોટ એરપોર્ટ પરથી વિવિધ કેન્સલ થયેલી ફ્લાઈટના કુલ 400 મુસાફરોને કંપનીએ રિફંડ ચૂકવી આપ્યું છે. આ ઉપરાંત દેશભરના 3,000 થી વધુ મુસાફરોનો સામાન પણ એરલાઇન્સ દ્વારા પરત આપવામાં આવ્યો છે. જેમાં રાજકોટના 15 મુસાફરોનો સમાવેશ થાય છે.
ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી મુંબઈ, દિલ્હી, પુણે, હૈદરાબાદ, બેંગ્લોર અને ગોવા સહિતની ફ્લાઈટના ઓપરેશન એકાએક કેન્સલ કરી નાખવામાં આવ્યા હતા. જેના કારણે રાજકોટ એરપોર્ટ પરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ઘણા બિઝનેસમેનની મીટીંગ કેન્સલ કરવી પડી હતી તો
કેટલાક મુસાફરોના મેડિકલ ઈમરજન્સીના કામો અટકી પડ્યા હતા. તથા અન્ય કેટલાક મુસાફરો કનેક્ટિંગ ફ્લાઈટ ન મળવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી એરલાઇન્સ દ્વારા રિફંડ ચૂકવવાની પ્રક્રિયા સમયસર હાથ ધરવામાં આવી રહી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેની વેબસાઈટ પર સતાવાર જાણકારી આપી છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે રિફંડ અથવા રી બુકિંગ પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં નહીં આવે. આ ઉપરાંત એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટે ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા ડિપારચર અને ટર્મિનલમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટિકિટ ચેન્જ, રિફંડ સહિતની પ્રક્રિયા ઓનલાઈન કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આખરે મુસાફરોને એડલાયન્સની મદદ મળતા રાહતની અનુભૂતિ થઈ રહી છે.