જામનગર નજીક કનસુમરા ગામમાં રહેતા અને ખડખંભાળિયા ગામ પાસે સલ્ફરનું કારખાનું ચલાવતા એક કારખાનેદારને વીજ ચોરીના કેસમાં જામનગરની અદાલતે તકસીરવાન ઠરાવ્યો છે, અને ત્રણ વર્ષની જેલ સજા ફટકારી છે. સાથો સાથ ૧૭ લાખની વિજ ચોરી પકડાઈ હોવાથી તેનાથી ત્રણ ગણો એટલે કે ૫૨.૯૬ લાખથી વધુ નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ કેસના આરોપી વિપુલભાઈ કારાભાઈ તંબોલીયા રહેવાસી કનસુમરા પાટીયા પાસે, (ઉંમર વર્ષ ૩૭) એ ખડખંભાળિયા ગામ સલ્ફર ખાતર બનાવવાનું કારખાનું ચલાવતો હોય જેમાં વાણિજ્ય હેતુ માટે વીજ પાવર આરોપીના કારખાનાની નજીકમાં આવેલ પીજીવીસીએલ કંપનીની માલિકીના ૬૩ કે.વી એ. ના ટી.સી. પરના એલ.ટી સ્ટુડ ઉપરથી આરોપીએ પોતાના કાળા કલરના વધારાના પ્રાઇવેટ કેબલ વાયર થી જોડાણ આપી બીજો છેડો વીજ મીટરના લોડ સાઈડ વાયરમાં જોડાણ આપી અનઅધિકૃત અને ગેરકાયદેસર રીતે વીજ પાવર પુરવઠો મેળવી પોતાના કારખાનામાં ખાતર બનાવવામાં વીજ વપરાશ કરતા વીજ ચેકિંગ દરમિયાન પકડાઈ ગયા હતા.
આથી તેને કુલ રૂપિયા ૧૭,૬૫,૪૪૭ ની વીજ ચોરી અંગેનો કેસ કરવામાં આવ્યો હતો. જે બાબતની ફરિયાદ જી.યુ.વી.એન.એલમાં કરી ને ઈલેક્ટ્રીક સીટી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરાયો હતો.
જે કેસ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ ની કોર્ટમાં ચાલી જતા અદાલતે દસ્તાવેજી પુરાવા તથા શાહેદો પુરાવા તથા સરકાર તરફેની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા વીજ ચોરીના રકમની ત્રણ ગણી રકમનો દંડ એટલે કે ૫૨,૯૬,૩૪૨ નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તેવો હુકમ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ.એમ ક્રીસ્ટી દ્વારા કરાયો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયેલા હતા.