Exclusive તસવીરોઃ બેડીચોક પાસે પ. બંગાળના 19 બાળમજૂરને ઠેકેદાર લોખંડના રોડથી માર મારી ઇમિટેશનનું કામ કરાવતો, શરીર પર ઉજરડા પડી ગયા

  • June 07, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની બેડીચોક નજીક ગોપાલ રેસિડન્સીમાં શેરી નં. 1માં એક મકાનમાંથી 19 બાળ મજૂરોને પોલીસે મુક્ત કર્યા હતા. બાદમાં આ બાળ મજૂરોના શરીર પર ઈજાના નિશાન જોવા મળતા તેમને મેડિકલ ચેકઅપ કરાયું હતું. આ બનાવમાં પોલીસે આજે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

નાના બાળકો પાસે ઈમિટેશનનું કામ કરાવાતું

એસીપી ક્રાઈમ ભરતી બસિયાએ જણાવ્યું હતું કે,  રાજકોટ શહેર સોની બજાર અને સામા કાંઠા વિસ્તારમાં ઇમિટેશન માર્કેટમાં મોટી સંખ્યમાં પશ્ચિમ બંગાળથી આવતા કારીગરો કામ કરતા હોય છે. આ કારીગરોમાં કોઈ બાંગ્લાદેશી કારીગરો કામ કરતો હોય છે કે કેમ તે બાબતની તપાસ લોકલ પોલીસ અને SOG બ્રાન્ચ કરતી હોય છે. આ દરમિયાન રાજકોટ SOGને બાતમી મળી હતી કે, પશ્ચિમ બંગાળનો એક વ્યક્તિ અજીતમુલા અને અજમતમુલા નાના બાળકો પાસે ઈમિટેશનનું કામ કરાવે છે. જૂના મોરબી રોડ પર આવેલ રાજનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી હતી. ​​​​​​​


બાળકોને રાખનાર પશ્ચિમ બંગાળના જ 

આ દરમિયાન મકાનમાંથી કોઈપણ વ્યક્તિ કે બાળકો મળી આવ્યા નહોતા, બાદમાં એવી જાણ મળી હતી કે, બેડી ચોકડી પાસે આવેલ ગોપાલ રેસિડન્સીમાં આ બાળકોને રાખવામાં આવેલ છે. જેથી તપાસ કરતા 18 વર્ષથી નાના 14 બાળકો, બીજા 18થી 22 વર્ષના 5 બાળકો મળી આવ્યા હતા. તેઓને જોતા તેમના શરીરે ઈજા અને ઉજરડાના નિશાન હતા. તેની માટે તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં પણ પુષ્ટિ થઈ છે કે, આ બાળકોને ત્યાં માર મારવામાં આવ્યો હતો. માર મારનાર અને બાળકોને રાખનાર પશ્ચિમ બંગાળના જ છે.


બાળકોને 8 હજાર વેતન અપાતું

વધુમાં જણાવ્યું હતું કે, બનાવની ગંભીરતા જોઈને અલગ અલગ ટીનો બનાવી બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. એક બાળકના મળ માર્ગે સખત પદાર્થથી ઈજા પહોંચાડવામાં આવી છે. આ પણ મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ થાય છે. આ વ્યક્તિએ જ આ કૃત્યુ આચર્યાનું સાબિત થાય છે. બાળકોને 8 હજાર વેતન અપાતું. બાળકો કામ ન કરતા કે કામ ઓછું કરતા હોય તેને માર મારવામાં આવતો હતો. 

બાળકો મૂળ પશ્ચિમ બંગાળનાં રહેવાસી

પોલીસે પ્રાથમિક તપાસ કરતાં આ તમામ બાળકો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું અને અહીં ઇમિટેશનનું કામ કરતાં હોવાનું સામે આવ્યું છે. ઠેકેદાર તમામ બાળકોને અલગ અલગ સમયે છેલ્લાં 2 વર્ષમાં રાજકોટ લાવ્યો હોવાનું પણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. આ ઉપરાંત આજે જે જગ્યાએથી બાળક મળ્યાં એ ગોપાલ રેસિડેન્સીના બ્લોક નંબર જી-33ના મકાનમાલિકનું નામ બાબુભાઇ ગોલાભાઈ બાળા હોવાનું સામે આવ્યું છે તેમણે કોઈ ભાડા કરાર કર્યો હતો કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જો ભાડા કરાર નહિ હોય તો અલગથી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application