રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલી કોપર ગ્રીન સોસાયટીમાં રહેતી પરિણીતા પાણીપૂરી ખાવા નીકળ્યા બાદ તેની ભેદી રહસ્યમય હત્યાના બનાવનો ગણતરીના જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ નાખી પ્રથમથી જ શંકાના દાયરામાં રહેલા પતિની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ભાંગી પડેલા પતિએ પત્નીની હત્યા કર્યાની કબુલાત આપી દીધી હતી. અવાવરું સ્થળે વિધિના બહાને સ્નેહાને લઈ જઈ પતિ હિતેશે ટોમીના ઘા ઝીંકી પતાવી દીધી હતી.
જાણો કેવી રીતે ઘટના બની
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કોપરગ્રીન સોસાયટી બ્લોક નં.૧૬માં રહેતી સ્નેહા ઉર્ફે સેવુ હિતેશભાઈ આસોડિયા ઉંમર વર્ષ 33 વાળીએ શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યે પતિ હિતેશભાઈને ફોન કરી પોતે ઘર નજીક જ આવેલા રાજલક્ષ્મી પાર્ક પાસે રેંકડીએ પાણીપૂરીવાળાને ત્યાં પાણીપૂરી ખાવા માટે જાય છે તેમ કહ્યું હતું. ત્યારબાદ પતિ ઘરે આવ્યા બાદ પત્ની હાજર ન હોય અને તેનો મોબાઇલ ઘરમાં ચાર્જિંગમાં રાખેલો હોય આજુબાજુમાં તપાસ કરતા મળી નહીં આવતા તેના સાળાને જાણકરી શોધખોળ શરૂ કરતા નહીં મળી આવતા અંતે બી ડિવિઝન પોલીસમાં લાપતા અંગે જાણકારી હતી.
બીજી તરફ પરિવાર અને પોલીસ સ્નેહાને શોધી રહ્યા હતા તે દરમિયાન બીજા દિવસે સવારે તેનો મૃતદેહ હત્યા કરેલી હાલતમાં અવાવરુ સ્થળેથી મળી આવતા આ અંગે મૃતકના ભાઈ અને પતિ સહિતના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લાપતા થયેલ સ્નેહા જોવાનું તેમજ તેની હત્યા થયાનું સામે આવ્યું હતું. હત્યા કોણે અને શા માટે કરી તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયો હતો એટલું જ નહીં આ હત્યાનું કારણ લુંટના ઇરાદે કે અન્ય કંઈ તે દિશામાં તપાસનો દોર આગળ વધાર્યો હતો. તેમજ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની રાહબરીમાં જુદી જુદી ટીમો બનાવી પડકારરૂપ ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં સ્નેહાના પતિ હિતેશ આસોડિયા પૂછપરછમાં હિતેશે સ્નેહા સાથે કોઈ જ પ્રકારનું મનદુઃખન હોવાનું નિવેદન આપ્યું હતું. પરંતુ પ્રથમથી જ શંકાના દાયરામાં રહેલા હિતેશની આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બની ગયેલા હિતેશે પત્નીની હત્યા કર્યાની કબુલાત આપી હતી. હત્યા કરવાનું કારણ પૂછવામાં આવતા છેલ્લા દોઢ વર્ષથી દરરોજ માથાકૂટ કરતી હોય તેમજ ઘર કંકાસથી કંટાળી પત્નીની હત્યા કર્યાની કબુલાત આપતા આરોપીને બી ડિવિઝન પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.