જામનગર મહાનગરપાલીકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા જર્જરીત અને અતિ જર્જરીત મિલ્કતો હોય તેનું સર્વેક્ષણ કરવામાં આવે છે, આખા વર્ષ દરમ્યાન આશરે ૨૨૫ જેટલી મિલ્કતોના માલીકોના નોટીસ પાઠવવામાં આવી હતી અને ૨૩ જેટલી મિલ્કતો અતિ જર્જરીત હોય તોડી પાડવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા વધુ ૩ મિલ્કતધારકોને નોટીસ અપાયા બાદ બે મિલ્કતધારકો આપમેળે મકાન રીપેર કરાવ્યું હતું અને બે મિલ્કતોના નળ કનેકશન અને ભુર્ગભ કનેકશન કટ્ટ કરી નાખવામાં આવ્યા હતાં.
જાણવા મળતી માહિતી મુજબ હાલમાં પણ ત્રણેક જેટલી મિલ્કતો જર્જરીત છે, આ મિલ્કત ધારકોને નોટીસ પાઠવવામાં આવી હોવા છતાં પણ તેઓ રીપેરીંગ કામ કરતા નથી, એક વૃઘ્ધાનું નાનુ મકાન હતું તે અતિ જર્જરીત હોય કોર્પોરેશને આ મકાન ખાલી કરાવ્યું હતું, જો કે કોર્પોરેશનનો દાવો એવો છે કે, હાલમાં ૩-૪ મિલ્કતો જર્જરીત કક્ષામાં ગણી શકાય, પરંતુ જાણકારોના જણાવ્યા મુજબ કેટલાક મિલ્કતધારકોને નોટીસ આપ્યા છતાં પણ તેઓએ હજુ સુધી મિલ્કત રીપેર કરાવી નથી કે કોર્પોરેશનની નોટીસનો જવાબ આપ્યો નથી.
ચોમાસાની શરૂઆત પહેલા કોર્પોરેશન દર વર્ષે જે જર્જરીત અને અતિ જર્જરીત બિલ્ડીંગો છે તેના માલીકોને નોટીસ ફટકારે છે, ત્યારબાદ અતિ જર્જરીત મિલ્કત હોય તેને કોર્પોરેશન તોડી પાડે છે, જો કે વર્ષ દરમ્યાન ૨૩ જેટલી અતિ જર્જરીત મિલ્કત તોડી પાડવામાં આવી હતી.
એક પ્રશ્ર્નના જવાબમાં કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, અમુક મકાન વર્ષો સુધી બંધ હાલતમાં હોય છે, તેની ટેકસ શાખામાંથી અમે વિગત મેળવીને માલીકને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ વર્ષો સુધી બંધ પડેલું મકાન અંગે અમે કોઇ બીજી કાર્યવાહી કરી શકતા નથી, પોલીસ ફરિયાદ થાય કે પોલીસની સુચના હોય તો પંચને સાથે રાખીને આ મકાન ખોલાવી શકીએ છીએ.
જામનગર શહેર દિન-પ્રતિદિન વધતું જાય છે, કેટલાક ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ઇમ્પેકટ ફી અંગે તા.૧૬ સુધીની મુદત વધારવામાં આવી છે, ૨૦૨૨ પહેલા આવા બાંધકામો કરેલા હોય અને જરૂરી આધાર-પુરાવા હોય તો આવા બાંધકામોને ઇમ્પેકટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે.