૩૨ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે વડોદરા ખાતેથી પકડી આગળની તપાસ માટે સીટી-બી ડીવીઝનના હવાલે કર્યો છે.
જામનગરના પેરોલ ફર્લો સ્વોકડના પીએસઆઇ એમ.વી. ભાટીયા અને સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કામગીરી હાથ ધરવામાં આવી હતી, દરમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ, સુરેશભાઇ, કરણસિંહ, દિલીપસિંહ તથા દિવ્યરાજસિંહને સંયુકત બાતમી મળેલ કે લાંબા સમયથી સીટી-બી ડીવીઝનના આઇપીસી ૪૦૬, ૪૨૦ વિગેરે ગુનાના કામે છેલ્લા ૩૨ વર્ષથી નાસતા ફરતા આરોપી કેતન અંબાલાલ પટેલ રહે. પટેલ કોલોની, જામનગરની તપાસમાં હતા.
આરોપી તથા તેનો પરિવાર ગુનો બન્યા બાદથી જામનગર છોડીને ચાલ્યા ગયા હતા, કોઇ કળી મળતી નથી, અભ્યાસ કરતા આરોપી જે તે સમયે ક્ધસ્ટ્રકશનનો ધંધો કરતો હોય અને તેના દ્વારા ફરીયાદીને જામનગર ખાતેના લવકુશ એપાર્ટમેન્ટમાં ફલેટ અપાવવાનું જણાવી ફલેટ નહીં આપી છેતરપીંડી કરી હતી. આથી આ દીશામાં અલગ અલગ જગ્યાએ લવકુશ નામની સોસાયટી-એપાર્ટમેન્ટ વિશે તપાસ કરતા વડોદરા ખાતે લવકુશ સોસાયટી વિશે જાણવા મળ્યુ હતું, ઉંડાણપુર્વકની તપાસમાં કેતન અંબાલાલ પટેલ હોવાની પૃષ્ટી થતા વડોદરા ખાતેથી પકડી લાવી આગળની કાર્યવાહી માટે સીટી-બી ડીવીઝન પોલીસને સોપી આપ્યો હતો.