BREAKING NEWS

શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ, દરેક ખોરાક માટે કેલરી-શુગર-મીઠાના માપદંડ નક્કી કરાશે

  • August 12, 2026 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દેશમાં બાળકોમાં વધતી સ્થૂળતા અને ડાયાબિટીસની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ખોરાક અંગે નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. આ નવા માપદંડો આ શૈક્ષણિક સત્રથી લાગુ થશે. દેશની તમામ ખાનગી, સરકારી અને અર્ધસરકારી શાળાઓમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ કેલરી, શુગર અને મીઠું ધરાવતી ખાદ્ય વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ રહેશે. નવા નિયમો મુજબ શાળાની કેન્ટીન અથવા કેફેમાં પિઝા, બર્ગર જેવી હાઈ-કેલરીવાળી વસ્તુઓ વેચી શકાશે નહીં. આ નિયમોનો હેતુ બાળકોને સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે. અંદાજે 24.69 કરોડ બાળકો આ નિયમોના દાયરામાં આવશે.

નિયમ માત્ર શાળાની અંદરની કેન્ટીન પૂરતો મર્યાદિત નહીં રહે. શાળાના મુખ્ય ગેટથી 50 મીટરના વિસ્તારમાં આવેલા કેન્ટીન, કેફે, ફૂડ સ્ટોલ અને અન્ય ખાદ્ય કેન્દ્રો પર પણ આ માપદંડ લાગુ થશે. એટલે કે શાળાની બહાર નજીકમાં પણ વિદ્યાર્થીઓને હાઈ-કેલરી અથવા વધુ શુગર-મીઠું ધરાવતી વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ ન થાય તે માટે નિયંત્રણ રહેશે. નવા નિયમોમાં ખાનગી શાળાઓની કેન્ટીનને પણ સામેલ કરવામાં આવી છે. મિડ-ડે મિલથી લઈને ખાનગી શાળાઓની કેન્ટીન સુધી ખાદ્ય વસ્તુઓ માટે નિર્ધારિત માપદંડનું પાલન કરવું પડશે. નિયમોનું ઉલ્લંઘન થાય તો સામાન્ય નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ વાત એ છે કે હવે ખાદ્ય વસ્તુની માત્રાના આધારે પણ તપાસ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ કેલરીની ચકાસણી થઈ શકશે. નક્કી કરાયેલા માપદંડ મુજબ ઘન ખાદ્ય પદાર્થમાં પ્રતિ 100 ગ્રામ આશરે 4.2 કિલોકૅલરી પ્રતિ ગ્રામની ઊર્જા મર્યાદા, 3 ગ્રામ શુગર અને 0.625 ગ્રામ મીઠાનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. પ્રવાહી ખાદ્ય પદાર્થ માટે પ્રતિ 100 મિલીમાં 1.5 કિલોકૅલરી પ્રતિ મિલી, 2 ગ્રામ શુગર અને 0.175 ગ્રામ મીઠાનું માપદંડ દર્શાવાયું છે. આ નિયમોની પાછળ બાળકો અને કિશોરોમાં વધતી સ્થૂળતા તથા ડાયાબિટીસ પણ એક મોટું કારણ છે. આંકડા મુજબ દેશમાં આશરે 4.1 કરોડ બાળકો ઓવરવેઇટ અથવા મેદસ્વિતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 6થી 16 વર્ષની ઉંમરના 10 ટકા બાળકોમાં પ્રી-ડાયાબિટીસ જોવા મળે છે, જ્યારે 15થી 19 વર્ષની ઉંમરના કિશોરોમાં આ પ્રમાણ 23 ટકા સુધી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ડબલ્યુએચઓના આંકડા મુજબ ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના આશરે 7.7 કરોડ લોકો ટાઇપ-2 ડાયાબિટીસથી પીડાય છે. નિષ્ણાતોના મતે બાળપણથી જ હાઈ-કેલરી, વધુ શુગર અને વધુ મીઠાવાળો ખોરાક ટાળવાથી ભવિષ્યમાં સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. સરકારના નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શાળાના વાતાવરણમાં જ સ્વસ્થ ખાવાની આદત વિકસાવવાનો અને જંક ફૂડના વધતા વપરાશને નિયંત્રિત કરવાનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application