જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલો ખાંભાવાવ રામપર મોટી વેરાવર ગંગાવાવ રોડ એ 7.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો એક અત્યંત અગત્યનો મુખ્ય જિલ્લા માર્ગ છે. આ માર્ગ એક તરફ જામનગર-લાલપુર-પોરબંદર રોડ અને બીજી તરફ જામનગર-સમાણા-ફુલનાથ રોડને જોડે છે, જે આ વિસ્તાર માટે મહત્ત્વની કનેક્ટિવિટી પૂરી પાડે છે.ભારે વરસાદને કારણે આ માર્ગની સપાટી અત્યંત ખરાબ થઈ ગયેલ હતી, જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી.
આ પરિસ્થિતિના નિરાકરણ સ્વરૂપે, રસ્તાની સપાટી સુધારણાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી માટે રૂ.375.00 લાખની રકમનો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.બી.છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર.વસરા દ્વારા ઉપરોક્ત રસ્તાની સપાટી સુધારણાની કામગીરી સત્વરે હાથ ધરાવવામાં આવેલ છે અને તે બનતી ત્વરાએ ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરાવવામાં આવનાર છે.
આ મહત્ત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થવાથી ખાંભાવાવ, રામપર, મોટી વેરાવર તેમજ આસપાસના તમામ ગામોના વાહન ચાલકોને હવે આરામદાયક, સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે.