રાજકોટ મહાનગરપાલિકામાં જન્મ-મરણના દાખલાની પરિસ્થિતિ આજે પણ છેલ્લા ચાર માસથી યથાવત રહેવા પામી છે. દરેક સરકારી કામ માટે ક્યુઆરકોડ વાળો જન્મનો દાખલો સરકારે ફરજિયાત બનાવતા 2020 પહેલાના તમામ દાખલાઓ ક્યુઆરકોડ કરવા માટે લોકોએ જન્મ-મરણ નોંધણી વિભાગમાં લાઈનો લગાવતા હોબાળો બોલી ગયો છે.
તેવી જ રીતે આધારકાર્ડમાં સુધારા-વધારા માટે પણ કેન્દ સરકારના પોર્ટલ અનુસાર ક્યુઆરકોડ વાળો દાખલો માન્ય રખાતા અનેક અરજદારોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. જેની સામે ખુદ સરકારે જ જુના દાખલામાંથી ક્યુઆરકોડનો દાખલો કરવા માટેની દરરોજની સંખ્યા ફક્ત 100ની કરતા વર્ષોથી બાકી રહેલ 20 લાખથી વધુ જન્મના દાખલાઓનું ભાવી અંધકારમય થઈ ગયાનું જાણવા મળેલ છે.
સરકાર દ્વારા સપ્ટેમ્બર માસમાં કેન્દ્ર સંચાલિત સીઆરસી પોર્ટલ દરેક મહાનગરપાલિકાને નગરપાલિકાઓ માટે ફરજિયાત બનાવ્યું છે. પરંતુ વર્ષો પહેલા કોર્પોેશન દ્વારા પોતાના પોર્ટલ ઉપર જન્મ-મરણના દાખલા કાઢી આપવામાં આવતા હતાં. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા નવું પોર્ટલ અમલમાં મુકેલ જેની અમલવારી પુરેપુરી શરૂ થાય તે પહેલા જ કેન્દ્ર સરકારે સીઆરસી પોર્ટલને માન્યતા આપી તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને તેની અમલવારી કરવાના આદેશ કર્યા હતાં. જેમાં શરૂઆતી ધોરણે ભારે અંધાધુંધી સર્જાયા બાદ છેલ્લા થોડા સમયથી પોર્ટલ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ પોર્ટલમાં 2020 પહેલાના એક પણ દાખલાની એન્ટ્રી ન હોવાથી 2020 બાદના તમામ જન્મના દાખલાઓ ક્યુઆર કોડ આધારીત થઈ ચુક્યા છે અને તે મુજબના કાઢી આપવામાં આવે છે. જેની સામે સરકારે નવો ફતવો જાહેર કરી આધારકાર્ડની તમામ પ્રકારની કામગીરી માટે ક્યુઆરકોડ વાળો જન્મનો દાખલો ફરજિયાત બનાવતા છેલ્લા થોડા સમયથી 2020 પહેલા જન્મેલા અરજદારો આધારકાર્ડમાં સુધારા-વધારાના કામ માટે જન્મનો દાખલો રજૂ કરે ત્યારે આ દાખલો રાજ્ય સરકાર અને કોર્પોરેશનના પોર્ટલ મુજબનો હોવાથી કેન્દ્ર સરકારના સીઆરસી પોર્ટલ ઉપર અપલોડ ન થતો હોય અરજદારોને પરત મોકલી નવો દાખલો કઢાવવાનું કહેવામાં આવી રહ્યું છે. જેની સામે ખુદ સરકારે જ જૂના ડેટામાંથી દરરોજ 100 દાખલા અપલોડ કરવા તેવી ગુજરાતના તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સુચના આપી છે. જેના લીધે અત્યાર સુધી કોર્પોરેશન અને રાજ્ય સરકારના પોર્ટલ ઉપરથી નિકળેલા 20 લાખથી વધુ જન્મના દાખલાઓ કેન્દ્ર સરકારના પોર્ટલ પરથી નિકળી શકતા નથી અને અપલોડ કરવા માટેની મર્યાદા પણ 100 દાખલાની હોવાથી અરજદારો રોજેરોજ ધક્કા ખાઈ રહ્યા છે. જેની સામે તંત્ર પણ લાચાર બની ગયું છે.
મનપાના જન્મ-મરણ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ હાલ કેન્દ્ર સરકારના સીઆરસી પોર્ટલ ઉપર 2020 બાદના તમામ જન્મના દાખલાઓ ક્યુઆરકોડ મુજબ મળવા પાત્ર છે. પરંતુ 2020 પહેલાના એટલે કે, અત્યાર સુધીના તમામ જન્મના દાખલાઓને ક્યુઆર કોડમાં ફેરવવા માટે પ્રથમ સીઆરસી પોર્ટલ પર અપલોડ કરવા પડે છે. ત્યાર બાદ દાખલો કેન્દ્ર સરકારના ક્યુઆરકોડ મુજબનો નિકળી શકે છે. પરંતુ સરકાર દ્વારા જુના કેટલોગમાંથી દરરોજ 100 દાખલા જ અપલોડ કરવા તેવી ગુજરાતભરની નગરપાલિકાઓ અને પાલિકાઓને સુચના આપવામાં આવી છે. જેના લીધે હાલ કોર્પોરેશનના 20 લાખના કેટલોક સામે દરરોજની 100ની મર્યાદા બહુ ઓછી હોવાથી અનેક લોકો ક્યુઆરકોડ વાળો દાખલો કઢાવી શકતા નથી જેના લીધે જન્મ-મરણ વિભાગ દ્વારા પણ જે અરજદાર કે જે 2020 પહેલા જન્મ થયો હોય તેના દાખલાઓ રૂબરૂ આવ્યા બાદ અપલોડ કરવામાં આવી રહ્યા છે. છતાં આધારકાર્ડની કામગીરીમાં પણ ક્યુઆરકોડના જન્મના દાખલાનો નિયમ અમલમાં બનતા આજે જન્મ-મરણ વિભાગ અને આધારકાર્ડ વિભાગમાં દેકારો બોલી ગયો હતો.