તસવીર સામાન્ય છે, અંબર ચોકડી પર એક ખાનગી બસ પુલની નીચે રાજકોટ તરફ જતી દેખાય છે, પણ તેની પાછળ એક અસામાન્ય વાત છે કે, કરોડોના ખર્ચે બનેલ સાત રસ્તાથી સુભાષબ્રિજ સુધીનો ઓવરબ્રિજ ખરેખર નકામો અને નિરર્થક સાબીત થઇ રહ્યો છે.
રૂ.રર૬.૯૯ કરોડના જંગી ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ગણાવાયેલા ફલાયઓવર પર જો એસટી બસ, ખાનગી બસ અને ટ્રકો દોડે જ નહીં તો સ્વાભાવિક રીતે આ પુલ કોઇ કામનો રહે જ નહીં, નિરર્થક બની જાય, આખી યોજના જાણે નિષ્ફળ ગઇ હોય એવું કહી શકાય અને અફસોસ સાથે કહેવું પડે છે કે ફલાયઓવરના લોકાર્પણ બાદ આવું જ થઇ રહ્યું છે. એક-બે બસ અને ટ્રકને બાદ કરતા લગભગ તમામ બસ, ટ્રક ફલાયઓવરની નીચે દોડી રહ્યા છે, પરિણામે શહેરની ટ્રાફીક સમસ્યા ઠેરની ઠેર હોય એવું લાગી રહ્યું છે અને ફલાય ઓવરની આ મહાયોજના અર્થ વગરની બની રહી છે, જરૂરી છે કે જામનગર મહાનગરપાલિકા, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર આ બાબતને ગંભીરતાથી લઇને તાકીદે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરીને બસો, ટ્રકોને ફલાયઓવરની ઉપર જ દોડવાની ફરજ પાડે.
તા. ર/૧ર/રપ ના રોજ જામનગર એસટી વિભાગીય નિયામક દ્વારા પાઠવવામાં આવેલ પત્રમાં જામનગરની આવતી જતી તમામ બસો માટે ચાર સ્ટોપ જાહેર કરવામાં આવ્યા હોય છે, જેમાં સાત રસ્તા, અંબર ચોકડી, સ્મશાન ચોકડી તથા રાજપાર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગરમાં નવો ઓવરબ્રીજ બનતા એસટીનું સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જામનગરમાં આવતી રાજકોટથી અને કાલાવડથી બસો ગ્રેઇન માર્કેટ, ટાઉનહોલ થઇને લાલબંગલા પસાર નહીં થાય, તેના બદલે બનાવવામાં આવેલ ફલાયઓવરની નીચેથી પસાર થશે અને રાજપાર્ક, સ્મશાન ચોકડી, અંબર ચોકડી, સાત રસ્તા સ્ટોપ થઇને હંગામી બસ સ્ટેન્ડે પહોંચશે.
એસ.ટી. ડેપોથી રાજકોટ તેમજ કાલાવડ તરફ જતા સાત રસ્તા સર્કલ, અંબર ચોકડી, સ્મશાન ચોકડી અને રાજ પાર્ક સ્ટોપ રહેશે, જેમાં મુસાફરોને બસમાં ચડાવવા અને રાજકોટ તેમજ કાલાવડ તરફથી આવતા સુરેશ ફરસાણ માર્ટથી આગળ જુના રેલ્વે સ્ટેશન તેમજ સાત રસ્તા સર્કલ પાસે મુસાફરોને ઉતારવાના રહેશે.
પત્રમાં જણાવ્યાનુસાર રાજપાર્ક સહિત કુલ ચાર સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે. ગુરૂદ્વારા ખાતે રોડની પહોળાઇ સાંકળી હોય અને બસ ઉભી રાખતા ટ્રાફીકજામનો પ્રશ્ર્ન થાય તેથી ગુરૂદ્વારા અને વિકટોરીયા પોઇન્ટનો સ્ટોપ રદ્દ કરવામાં આવ્યો છે. વિકટોરીયા પોઇન્ટના બદલે રાજપાર્ક પોઇન્ટ મુસાફરો માટે આપવામાં આવેલ છે. એસ.ટી.ની તમામ લોકલ, એકસપ્રેસ, ગુજરનગરી, વોલ્વો, એસી ઇલેકટ્રીક બસ સહિતની આ ટ પર સંચાલન કરવા તેમજ મુસાફરોને ચડાવવા-ઉતારવાની સુવિધા ફાળવવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ ફલાયઓવરનું ગત સપ્તાહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં ટ્રાફીક સમસ્યા હળવી થાય તે હેતુસર બનાવવામાં આવેલ આ ફલાયઓવર આજે એક સપ્તાહ ઉપરનો સમય થઇ ગયો છે ત્યારે જામનગરમાં આવતી તમામ પ્રાઇવેટ બસો, ટ્રકો, ભારે વાહનો અને એસટીની બસો ફલાયઓવરના બદલે નીચેથી જ પસાર થતી હોય, જેને લીધે જામનગર શહેરની ટ્રાફીક વ્યવસ્થા જૈસે થૈ બની છે. ઉપરોક્ત વાહનો ફલાયઓવરની ઉપર દોડે તો જ જામનગરની ટ્રાફીકની સમસ્યા મહદ્દ અંશે નિવારી શકાય.
ભારે વાહનો, ટ્રકો અને એસટીની બસો આવતા જતા સ્મશાન ચોકડી, અંબર ચોકડી, ગુદ્વારા ચોકડી અને સાત રસ્તા સર્કલ નીચેથી જ દોડતી હોવાથી આ ચારેય પોઇન્ટ પર સવાર, બપોર અને સાંજ આ સમયગાળા દરમ્યાન ટ્રાફીકની સમસ્યા જેમની તેમ જ રહેવા પામી છે. ચાર વર્ષ કરતા વધુ સમયથી ફલાયઓવરના કારણે પણ ટ્રાફીક સમસ્યામાં ઝઝુમતી જામનગરની પબ્લીક ફલાયઓવર બન્યા પછી પણ કોઇ જાતની સમસ્યામાં ફેરફાર થવા પામ્યો નથી. ત્યારે જામનગર મહાનગરપાલિકા વહીવટી તંત્રએ આ બાબતે ખાસ વિચારવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ?
ભારે વાહન નીચે દોડતા હોવાથી અકસ્માતની સંભાવનાની સાથે સાથે ટ્રાફીક સમસ્યાની પણ નડી રહી છે. ખાસ કરીને સ્કૂલ છૂટવા સમયે તેમજ સવારે ગુરૂદ્વારા સર્કલ અને અંબર ચોકડીએ ટ્રાફીક સમસ્યા વધારે રહેવા પામે છે. ભારે વાહનો અને એસટી બસો તેમજ પ્રાઇવેટ બસો ફલાયઓવર પર દોડે તો જ આ કરોડો ખર્ચ ફળીભૂત થાય.