જામનગર-રાજકોટ વચ્ચે ટ્રેનના નિવૃત પીઆઈ ઉપર પરપ્રાંતીય શખ્સએ ફાયર સિલિન્ડરથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલો કરી શખ્સ બે મોબાઈલ ઝૂંટવી લઇ જામ વંથલી સ્ટેશને ઉતરી ગયો હતો અને ત્યાંથી રોડ માર્ગે અમદાવાદ જવા નીકળતા લૂંટ કરેલો નિવૃત PIનો મોબાઈલ ફોન ચાલુ હોવાથી લોકેશનના આધારે રાજકોટ રેલવે પોલીસ અને એલસીબીની ટીમે પંજાબી શખ્સને દબોચી લીધો હતો. નિવૃત પીઆઈ દાખલ થયા ત્યારે કમરે રિવોલ્વરનું ખાલી કવર જોવા મળતા અર્ધ બેભાન હાલતમાં રિવોલ્વરનું પૂછતાં ખબર ન હોવાનું જણાવ્યું હતું. આથી રિવોલ્વરની લૂંટ થયાનું લાગ્યું હતું. પરંતુ બાદમાં તપાસ દરમિયાન કવરમાં રિવોલ્વર જેવું લાઇટર રાખતા હોવાનું સામે આવ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં જી.જી. હોસ્પિટલ પાસે જય પ્રકાશ સોસાયટીમાં રહેતા નિવૃત પીઆઈ ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.77)ના આજે વહેલી સવારે જામનગરથી અમદાવાદ જવા માટે જામનગર વડોદરા ઇન્ટરસીટી ટ્રેનમાં બેઠા હતા ત્યારે આજે વહેલી સવારે પાંચેક વાગ્યે હાપાથી જામ વંથલી વચ્ચે ટ્રેનના કોચમાં નિવૃત પીઆઈ અને કોચમાં સવાર પંજાબી શખ્સ વચ્ચે ફોન અને બીડી પીવાની બાબતે બોલાચાલી થતા નિવૃત પીઆઈએ શખ્સને ફડકો મારી લીધો હતો અને બંને વચ્ચે ઉગ્ર ઝગડો થતા નિવૃત પીઆઇની કમરે લટકાવેલું રિવોલ્વરનું કવર જોઈ જતા શખ્સે પોતા ઉપર હુમલો થવાની બીકે ઉગ્ર બની ફાયર સિલિન્ડર કાઢી મારમાર્યો હતો. પ્રૌઢ નીચે પડી જતા પંજાબી શખ્સે બે મોબાઈલની લૂંટ ચલાવી જામ વંથલી સ્ટેશન આવતા જ નીચે ઉતરી ગયો હતો. દરમિયાન પ્રૌઢ લોહી લુહાણ હાલતમાં ટ્રેનની બહાર આવતા મુસાફરો જોઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલવે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પરિવારજનો પણ રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા.
ધર્મેન્દ્રસિંહ બે ભાઈ ચાર બહેનમાં વચેટ છે, તેઓ છેલ્લે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી 18 વર્ષ પૂર્વે નિવૃત થયા હતા. આજે હાઇકોર્ટમાં તારીખ હોવાથી વહેલી સવારે જામનગર-વડોદરા ઇન્ટરસીટી ટ્રેનમાં અમદાવાદ જવા નીકળ્યા હતા ત્યારે આરોપી પણ જનરલ ડબ્બાના કોચમાં સાથે ચડ્યો હતો. હાપા અને જામ વંથલી વચ્ચે શખ્સે નિવૃત પીઆઈ પાસેથી ફોન કરવા માટે ફોન માગ્યો હતો. જે ફોન આપવાની ના પાડતા બંને વચ્ચે ઝગડો થવાથી નિવૃત પીઆઈએ શખ્સને ફડાકો મારી લીધો હતો. ઝપાઝપી દરમિયાન કમર પટ્ટામાં બાંધેલું રિવોલ્વરનું કવર જોઈ જતા વધુ ઉગ્ર બની શખ્સે કોચમાં રહેલા ફાયર સિલિન્ડર વડે હુમલો કરી બેફામ મારમાર્યો હતો. બાદમાં પોતે જામ વંથલી સ્ટેશને ઉતરી રોડ માર્ગે અમદાવાદ જવા નીકળ્યો હતો. એ વચ્ચે રેલવે પોલીસના પીઆઈ એચ.એમ.રાણાની રાહબરીમાં મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કરી શખ્સને ઝડપી લઇ આગળની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application