કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોમાં ભીષણ આગ લાગતા એક ભારતીય નાગરિક સહિત પાંચ લોકોના મોત થયા છે. ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે તેમણે આગથી પ્રભાવિત લોકોના પરિવારનો સંપર્ક કર્યો છે. ભારતીય દૂતાવાસ પરિવારોને જરૂરી તમામ સહાય પૂરી પાડી રહ્યું છે.
ભારતીય કોન્સ્યુલેટ જનરલે કહ્યું,બ્રેમ્પટનમાં લાગેલી વિનાશક આગમાં ભારતીય નાગરિકોના મોતથી અમે ખૂબ જ દુઃખી છીએ. કોન્સ્યુલેટ જનરલ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી.તાજેતરમાં ૧૯-૨૦ નવેમ્બરના રોજ સવારે ૨:૧૫ વાગ્યે મેકલોફલિન અને રિમેમ્બરન્સ રોડ્સ વિસ્તારમાં ૧૨ બન્સ વે ખાતે પણ આગ લાગી હતી. આગમાં ત્રણ મહિલા અને એક નાના બાળકનું મોત થયું હતું.
ઓન્ટારિયો ફાયર માર્શલ ઓફિસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. કોન્સ્ટેબલ ટાયલર બેલે જણાવ્યું હતું કે ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા . હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા લોકોમાંથી એક મહિલા ગર્ભવતી હતી અને તેના બાળકને જન્મ આપવા માટે તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી, પરંતુ બાળકનું મૃત્યુ થયું હતું. ગર્ભવતી મહિલા આગથી બચવા માટે બારીમાંથી કૂદી પડી હતી અને ઘાયલ થઈ હતી. કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ અન્ય ચાર લોકોની હાલત સ્થિર છે, જોકે કેટલાકની હાલત ગંભીર છે.