રાજકોટ જિલ્લા પંચાયતની 11 તાલુકા પંચાયતોમાં ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 60.36% મતદાન થયું છે. જે ગત ચૂંટણીની સરખામણીએ ઓછું છે. સૌથી વધુ નોંધપાત્ર અને ચોકાવનારી બાબતો એ છે કે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટના હોમ ગ્રાઉન્ડ ગણાતા જામકંડોરણા તાલુકા પંચાયતમાં સૌથી ઓછું 51.29 ટકા મતદાન થયું છે. રાજકોટ તાલુકા પંચાયતમાં સૌથી વધુ મતદાન 72.10 ટકા નોંધાયું છે. પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાના જેતપુર ધોરાજી સહિતના વિસ્તારોમાં આવેલી તાલુકા પંચાયતોમાં પણ ઓછું મતદાન થયું છે. આ બાબત રાજકોટ જિલ્લાના રાજકારણમાં અને તેમાં પણ ખાસ કરીને ભાજપમાં ભારે ચર્ચાનો વિષય બનેલ છે.
રાજકોટ જિલ્લાની અન્ય 11 પૈકી 9 તાલુકા પંચાયતોની વાત કરીએ તો કોટડા સાંગાણીમાં 60.30 લોધીકામા 69.07 પડધરીમાં 66.82 ગોંડલમાં 53.36 જેતપુરમાં 54.66 ધોરાજીમાં 56.83 ઉપલેટામાં 58.70 જસદણમાં 60.70 અને વીંછીયામાં 60.01 ટકા મતદાન થયું છે.
રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં 4,90928 પુરુષ 4,45,188 મહિલાઓ મળીને કુલ 9,36594 મતદારો નોંધાયા હતા. તેમાંથી 3,20700 પુરુષ અને 2,44,607 મહિલાઓ મળી 5,65,307 નું મતદાન થયું હતું.
આવતીકાલે સવારે 9:00 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી બપોર સુધીમાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે. કાલે કોણ જીતે છે અને કોણ હારે છે તેની ભારે ચર્ચા ઠેર ઠેર થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં વધુ અને શહેરી વિસ્તારમાં ઓછું મતદાન નવા રાજકીય સમીકરણો સર્જાવા તરફ તો અંગુલી નિર્દેશ નથી કરતું ને ?તેવા સવાલો પૂછાઇ રહ્યા છે.