પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે PM મોદીએ ગુજરાતના CM સાથે ટેલિફોનિક વાતચીત કરી, જાણો શું વાત થઈ

  • May 09, 2025 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં પાકિસ્તાનની સરહદના જિલ્લાઓમાં સલામતીના લેવાયેલા પગલા અંગે માહિતી મેળવી હતી. આ અંગે મુખ્યમંત્રીએ પોતાના એક્સ હેન્ડલ પર જણાવ્યું છે. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં દેશ વિરોધી પોસ્ટ કરનાર સામે લાલ આંખ કરી છે. ગુજરાત પોલીસે આવા 4 શખ્સો સામે એફઆઈઆર નોંધી છે.


X પર મુખ્યમંત્રીએ શું લખ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 


વડાપ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.


મુખ્યમંત્રીએ બેઠક યોજી તેનું પણ ટ્વીટ કર્યું

ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. 


ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે, તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી. પ્રવર્તમાન સ્થિતિમાં બધા જિલ્લાઓના કંટ્રોલરૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટેના દિશાનિર્દેશો આપ્યા. 


હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સંવેદશીલ વિસ્તારો અને સુરક્ષિત સ્થાનોની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી. 


પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પૂરતા સંગ્રહ, આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગની વ્યવસ્થાઓ તેમજ હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા કોમ્યુનિકેશનના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરવા અંગેના જરૂરી સૂચન કર્યા.  


લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિના પ્રયાસો માટેની સૂચના પણ આપી. 


આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ સતર્કતાપૂર્વક કામગીરી કરી રહી છે, ત્યારે તેમને દરેક પ્રકારની મદદ ત્વરાએ આપવા રાજ્ય સરકાર ખડે પગે છે.


ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીની સાંપ્રત સ્થિતિમાં આરોગ્ય વિભાગની સંપૂર્ણ તૈયારીઓ છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક યોજી ઈમરજન્સીમાં જરૂરી તમામ વ્યવસ્થાઓ માટે સૂચનાઓ આપી સાથે સરહદી જિલ્લાઓને કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા આરોગ્ય સુવિધાઓના મજબૂતીકરણની સૂચનાઓ આપી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application