જો તમે ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા તમારા ડાક (મેલ) અથવા પાર્સલની ડિલિવરી માટે લાંબો સમય રાહ જોતા હોવ, તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હાલમાં જ મોટી જાહેરાત કરી છે કે ભારતીય ડાક વિભાગ હવે નવી ફાસ્ટ ડિલિવરી સેવાઓ શરૂ કરવા જઈ રહ્યું છે. આ નવી સેવાઓ લાગુ થયા બાદ પોસ્ટ ઓફિસ દ્વારા ૨૪ કલાક અને ૪૮ કલાકની અંદર ડાક અને પાર્સલની ડિલિવરીની ખાતરી આપવામાં આવશે.
બે નવી 'સ્પીડ પોસ્ટ' સેવાઓ
કેન્દ્રીય મંત્રી સિંધિયાએ જણાવ્યું કે આ નવી સેવાઓની શરૂઆત જાન્યુઆરી મહિનાથી કરવામાં આવશે, જેમાં ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ ઝડપી ડિલિવરી વિકલ્પ પસંદ કરી શકશે:
24 કલાકની સ્પીડ પોસ્ટ: આ સેવા હેઠળ કોઈપણ ડાક આઇટમ એક દિવસની અંદર તમારા સરનામે પહોંચાડવાની ગેરંટી અપાશે.
48 કલાકની સ્પીડ પોસ્ટ: આ સેવામાં પાર્સલ બે દિવસની અંદર ડિલિવર થઈ જશે.
આનાથી લોકો પોતાની જરૂરિયાત મુજબ, ઝડપી અથવા થોડી ધીમી ડિલિવરી પસંદ કરી શકશે.
પાર્સલ ડિલિવરીની સ્પીડમાં નોંધપાત્ર સુધારો
મંત્રી સિંધિયાએ ઉમેર્યું કે, પાર્સલ ડિલિવરીની ગતિમાં પણ મોટો સુધારો થશે.
આ જાહેરાત ખાસ કરીને તેવા લોકો માટે રાહતરૂપ છે જેઓ વ્યવસાય માટે ઝડપથી માલસામાન મોકલવા માગે છે.
ડાક વિભાગ હવે નફો કમાતો વિભાગ બનશે
સરકારનો ઉદ્દેશ છે કે વર્ષ ૨૦૨૯ સુધીમાં ભારતીય ડાક વિભાગ માત્ર સેવા પૂરી પાડતું નહીં, પણ આર્થિક રીતે મજબૂત બની નફો કમાતો વિભાગ બને. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ડાક વિભાગ કુલ ૮ નવા ઉત્પાદનો અને સેવાઓ લોન્ચ કરી રહ્યું છે, જેમાં આ ઝડપી ડિલિવરી સેવાઓ પણ સામેલ છે.