વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રાની રાજકોટમાં તૈયારી, રામનાથપરા સ્મશાનમાં થશે અગ્નિસંસ્કાર, જાણો અંતિમયાત્રાનો રૂટ

  • June 15, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદથી લંડન જતી વેળાએ પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન થતા સમગ્ર રાજકોટ શહેરએ આજે શોકમય સ્વયંભુ બંધ પાળ્યો છે.દરમિયાન વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ લાવવા માટે તેમના ડીએનએ મેચ થવાની રાહ જોવાઇ રહી છે ડીએનએ મેચ થયાનો રિપોર્ટ આવ્યા બાદ તુરંત તેમના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે. જો કે આ પ્રક્રિયામાં હજુ કેટલો સમય લાગશે તે કહી શકાય તેમ નથી. અલબત્ત પરિવારજનો તથા પક્ષ દ્વારા વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રાની તૈયારી શરૂ કરાઇ છે જેમાં તેમની અંતિમયાત્રા પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસ્થાનેથી નીકળી રામનાથપરા મોક્ષધામ જશે, આ માટેનો રૂટ પણ ફાઇનલ કરાયો છે. વિજયભાઇએ જ્યાં આગળ ૨૦ વર્ષ સુધી કોર્પોરેટર, શાસક નેતા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન અને મેયર તરીકે શાસન કર્યું તે રાજકોટ મહાપાલિકા કચેરી ખાતે તેમના મૃતદેહને પાંચ મિનિટ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, તદઉપરાંત વિજયભાઈના વર્ષો જૂના મકાન અને તેમના પરિવારની પેઢી જ્યાં આવેલી છે તે ગરડીયા કુવા રોડ બજાર ખાતે પણ પાંચ મિનિટ અંતિમ દર્શન અર્થે યાત્રા રોકાશે તેમ જાણવા મળે છે.


દરમિયાન સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદથી રાજકોટ શહેરમાં પ્રવેશ્યા બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસજી બાપુ આશ્રમ ત્યાંથી કુવાડવા રોડ, પારેવડી ચોક, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ ચોક, બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક, રેસકોર્સ રિંગ રોડ, કિસાનપરા ચોક, આમ્રપાલી અન્ડર બ્રિજ, રૈયા રોડ થઇને તેમના પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસ સ્થાને લઇ જવાશે.


સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિજયભાઇ રૂપાણીની અંતિમયાત્રા તેમના પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસ સ્થાને નીકળશે. પ્રકાશ સોસાયટી ખાતેથી નિર્મલા કોન્વેન્ટ રોડ ત્યાંથી કોટેચાચોક કાલાવડ રોડ થઈને મહિલા કોલેજ ચોક ત્યાંથી એસ્ટ્રોન ચોક એસ્ટ્રોન ચોકથી માલવીયા ચોક થઈને કોર્પોરેશન ચોક પહોંચશે. કોર્પોરેશન કચેરી ખાતે પાંચ મિનિટ માટે મૃતદેહને અંતિમ દર્શન અર્થે રાખવામાં આવશે ત્યારબાદ ત્યાંથી ભુપેન્દ્ર રોડ અને ગરેડીયા કુવા રોડ વિસ્તાર કે જ્યાં આગળ વિજયભાઇના પરિવારના વર્ષો જૂના મકાન અને દુકાન આવેલા છે અને જ્યાં આગળ તેમનું બાળપણ તે વિસ્તારમાં પાંચ મિનિટ માટે અંતિમ દર્શન અર્થે યાત્રા વિરામ લેશે ત્યારબાદ ત્યાંથી સીધા રામનાથ પરા મોક્ષ ધામ ખાતે જશે ત્યાં આગળ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જ્યારે વિજયભાઈ ની પ્રાર્થના સભા રેસકોર્સ ઓપન એર થિયેટર ખાતે યોજવામાં આવશે અને તે માટેની તૈયારી પણ શરૂ કરાય છે તેમ પક્ષના વર્તુળોમાંથી જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application