પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત થકી પાકનું જતન અને વાવેતર

  • June 03, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીજ સંસ્કાર માટે બીજામૃતનો ફાળો પ્રાકૃતિક કૃષિનું અભિન્ન અંગ છે, બીજામૃત સરળ રીતે ખેતર પર ઉપલ્બધ દ્રવ્યોમાથી બનાવવામાં આવે છે,જેનો ઉપયોગ વાવણી પહેલા બીજને માવજત એટલે  કે પટ આપવા માટે થાય છે, તેનો  ઉપયોગ રોપા,ધરૂ અથવા કોઇપણ રોપણી માટેની સામ્રગીની માવજત માટે કરવામાં આવે છે.
બીજામૃતનો ઉપયોગ કરવાથી છોડના મૂળને જમીનજન્ય ફૂગ તથા બીજ જન્ય રોગો સામે રક્ષણ મળી રહે છે.બીજામૃતમાં ઘણા ફાયદાકારક સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મતત્વો રહેલા છે, જે છોડને વૃધ્ધી અને વિકાસમાં જવાબદાર છે જેનાથી ઉત્પાદન અને ઊપજમાં વધારો કરે છે. બીજામૃત બનાવવા માટેની સામ્રગી માટે (અંદાજીત  કિલોગ્રામ બીજ માટે) દેશી ગાયનું તાજુ છાણ ૫ કિલો,દેશી ગાયનું ગૌ મુત્ર ૫ લિટર,ચૂનો ૫૦ ગ્રામ વડ નીચેની માટી ૧ મુઠ્ઠી જરૂરી છે.
બીજામૃત બનાવવા માટે સુતરાઉ કાપડમાં ૫ કિલો તાજુ છાણ લઇ પાણીમાં બોળવુ જેથી દ્રાવ્ય તત્વો પાણીમાં ઓગળી જશે,બીજા એક વાસણમાં ૫૦ ગ્રામ ચૂનો ૧ લિટર પાણીમાં ૧૨ થી ૧૬ કલાક પલાળી રાખવો, આ છાણના અદ્રાવ્ય તત્વોને સુતરાઉ કાપડને દબાવીને જુદા કરવા હોય છે.છાણ વાળા દ્રાવણમાં ૫ લિટર ગૌ મુત્ર,૧ લિટર ચૂનાનું પાણી,૫૦ ગ્રામ સજીવ માટી અને ૨૦ લિટર પાણી ઉમેરીને ૧૨ થી ૧૬ કલાક સુધી મિશ્રણ મુકી રાખવું, આ મિશ્રણને દિવસમાં બે વખત હલાવવાનું હોય છે. 
બીજ પર બીજામૃતની માવજત આપી બીજને છાયામાં સુકાવવા અને ત્યાર બાદ વાવણી કરવી,બીજામૃતના પટ આપવાથી બીજ વહેલા અને વધારે પ્રમાણમાં ઉગી નીકળે છે, આનાથી મૂળ ઝડપથી વધે છે ને જમીન પરથી છોડ પર જે રોગોના દુષ્પ્રભાવ હોય છે તે છોડ પર થતો નથી.છોડ સારી રીતે અને ઝડપથી વધે છે, ગાંઠો અને ધરૂને બીજામૃતમાં ડૂબાડી રાખવા અને પછી વાવણી કરવી,૧૦૦ કિલો બીજ માટે ૫૦ લિટર બીજામૃતની જરૂર પડે છે,
વાવણી પહેલા જુદા જુદા બિયારણને બીજામૃતનો પટ આપવાની રીત જોઈએ તો ધાન્ય અને તેલબીયા પાકો માટે ચોખા,બાજરા,મકાઇ,જુવાર,ઘઉં,તલ અડસી, સૂર્યમૂખી,કપાસ, કસુંબી વગેરે પૈકી જે વાવવું હોય તે બીજ પાથરીને બીજામૃતનો છંટકાવ કરવો ત્યાર બાદ તેને હાથથી બરોબર મિશ્ર કરવું અને તડકા પાસેના છાંયડામાં સુકવવું.
જ્યારે મગફળી અને સોયાબીન માટે આ બંન્ને પાકની બહારની ફોતરી ખૂબજ નરમ હોવાથી તેના બીજને પટ આપતી વખતે બીજામૃત ને બદલે ઘન જીવામૃતનો ઉપયોગ ૧-૧ ના પ્રમાણમાં કરવો એટલે કે ૧૦ કિલોગ્રામ બિયારણ હોય તો ૧ કિલો ઘનજીવામૃત ભેળવવું.
કંદમૂળ માટે બટાકા,હળદર,આદુ,કેળ કે શેરડીના વાવેતર માટે તેની કાતરી સૂંડલામાં લઇ તેને બીજામૃતનો ૩૦-૪૦ સેક્ધડ માટે ડુબાડીને કાઢ્યા બાદ વાવણી કરવી.જ્યારે કઠોળ વર્ગના પાક માટે મગ,મઠ,અડદ,તુવેર,ચોળા, ચોળી, વાલ,વટાણી,રાજમાં કે મેથી જેવા પાકમાં બીજામૃતનો છંટકાવ કર્યા બાદ બે હાથોથી મસળવાને બદલે ફક્ત આંગળીઓ ફેરવી ધીરેથી ઉપર નીચે કરવું અને તડકા પાસે છાયામાં સૂકવવું.
શાકભાજી માટે બહારથી લીધેલા શાકભાજીના પેકેટને તોડી,પાણીથી ધોઇને બીજામૃતમાં ડુબાડીને વાવણી કરવી જેથી કંપનીનો કેમીકલ પટ ધોલાઇ જાય,રોપના મૂળ બીજામૃતમાં અમુક ૩૦ થી ૪૦ સેક્ધડ માટે ડુબાડીને પછી વાવણી કરવી, રોપા માટે ૨૦-૩૬ રોપના મૂળ બીજામૃતમાં અમુક  ૩૦ સેક્ધડ માટે ડુબાડીને પછી વાવણી કરવી. બિયારણને સાચવવું હોય તે ગાયના છાણની રાખ સાધારણ છાંટીને પ્લાસ્ટિક બેગમાં ભરીને સીલ કરવાથી બિયારણ બગડતું નથી,ઘરની અંદર વાપરવા માટે અનાજને સૂકવ્યા પછી મોટી પ્લાસ્ટીક બેગમાં પાંચ કિલો અનાજમાં ૧ ચમચી રાખ પાતળા કપડામાં બાંધીને પોટલુ મુદી દેવું, મોટી બેગ હોય તો ૧ કિલો અનાજ પ્રમાણે વધારે પોટલી મુકીને પ્લાસ્ટીક બેગમાં સીલ દ્રારા પેક કરી દેવુ ,અનાજ બગ઼ડશે નહિ,આ પ્રધ્ધતિ મુજબ બીજ લાંબા સમય સુધી રાખી શકાય છે અને બે વર્ષ સુઘી બગડતુ નથી
બીજામૃતની વૈજ્ઞાનિકતા એ છે કે બીજામૃત બીજને જમીનમાં રહેલા ફૂગ તેમજ અન્ય જમીન જન્ય રોગ જીવાત સામે રક્ષણ આપે છે.ગોબર અને ગૌમૂત્રમાં રહેલા એન્ઝાઇમ્સ બીજના ઝડપી સ્ફૂરણમાં મદદગાર થાય છે,તંતુ મૂળ ઝડપથી વધે છે અને સારી રીતે ફૂલે ફાલે છે,દરેખ ખેડૂતે હમેશાં પોતાના ખેતરમાં વાવેતર કરેલ પાકોનું બીજ સાચવીને જતન કરવું જોઇએ જેથી આગળના વર્ષે બીજનું વાવેતર કરી ખર્ચ બચાવી શકાય,આ બીજ જમીન,હવા, પાણી સહિત વાતાવરણ સાથે સાનુકુળ થઇ ગયેલ હોવાથી પાક સારો થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધી ઉત્પાદનમાં પણ વધારો થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application