દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટે રાહત આપી છે. આરોગ્યને લઈને 6 મહિનાના વચગાળાના જામીન આપ્યા છે.
મળતી માહિતી મુજબ, આ વખતે આસારામની સાથે ત્રણ પોલીસ કર્મચારીઓ રાખવાની શરત દૂર કરાઈ છે, જેથી હવે જામીન દરમિયાન આસારામ સાથે પોલીસ રહેશે નહીં. જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો?
2013માં જોધપુરમાં એક સગીરે આસારામ પર જાતીય ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, જોધપુર પોલીસે આસારામને તેમના છિંદવાડા આશ્રમમાંથી ધરપકડ કરી, તેમને જોધપુર લાવીને સેન્ટ્રલ જેલમાં મોકલી દીધા. 25 એપ્રિલ 2018ના રોજ જોધપુરની એક કોર્ટે જાતીય ગેરવર્તણૂક બદલ આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ આસારામે સજા પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી, પરંતુ રાહત નકારી કાઢવામાં આવી. આસારામે 2025માં તબીબી સારવાર માટે વચગાળાના જામીન માંગ્યા.
સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત કેસમાં તબીબી સારવાર માટે આસારામને વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી રાજસ્થાન હાઈકોર્ટે પણ આસારામને વચગાળાના જામીન આપ્યા હતા, જે સમયાંતરે લંબાવવામાં આવતા હતા. જોકે, 27 ઓગસ્ટના રોજ, રાજસ્થાન હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો હતો અને તેમના શરણાગતિનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આસારામે આત્મસમર્પણ કર્યું.
જોધપુર દુષ્કર્મ કેસ
જોધપુરના મનાઈ આશ્રમમાં એક સગીરા પર બળાત્કારના કેસમાં 2 સપ્ટેમ્બર, 2013ના રોજ જોધપુર પોલીસે આસારામની તેમના ઇન્દોર આશ્રમમાંથી ધરપકડ કરી હતી. 25 એપ્રિલ 2018ના રોજ જોધપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી. 14 જાન્યુઆરીએ રાજસ્થાન હાઈકોર્ટે આ કેસમાં આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા.
ગુજરાતના ગાંધીનગર સ્થિત આશ્રમની એક મહિલાએ આસારામ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. 31 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટે આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. 28 માર્ચે ગુજરાત હાઈકોર્ટે ફરીથી આસારામને 3 મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતા.
આ સિવાય 27 જૂને ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યારબાદ 3 જુલાઈએ જામીન 1 મહિનો સુધી વધાર્યા હતા. ત્યાર પછી 7 ઓગસ્ટ, 2025એ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. ત્યારબાદ 21 ઓગસ્ટ સુધીના હંગામી જામીન વધારી આપ્યા હતા.