સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં આજે હાઈવોલ્ટેજ ડ્રામા બાદ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પક્ષપલટા અને પ્રતિષ્ઠાના જંગ સમાન બનેલી આ ચૂંટણીમાં જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાનો ભવ્ય વિજય થયો છે, જેનાથી સુરેન્દ્રનગરના રાજકીય સમીકરણોમાં ગરમાવો આવી ગયો છે.
રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં હતા. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના ગણતરીના દિવસો પૂર્વે જ તેઓ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને કેસરીયો ધારણ કર્યો હતો. આ બેઠક પર ભાજપ અને વિપક્ષ વચ્ચે સીધી ટક્કર હતી, પરંતુ અંતે મતદારોએ રાજુ કરપડા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મતગણતરીના શરૂઆતના તબક્કે સોશિયલ મીડિયામાં એવી વાતો વહેતી થઈ હતી કે રાજુ કરપડાની હાર થઈ છે. આ મેસેજ વાઈરલ થતા સમર્થકોમાં નિરાશા જોવા મળી હતી, પરંતુ સત્તાવાર પરિણામ જાહેર થતા જ ચિત્ર સ્પષ્ટ થયું હતું. આખરી ગણતરીના અંતે તેઓ વિજેતા જાહેર થતા જ વિરોધીઓના દાવા પોલા સાબિત થયા હતા.
આ જીત સાથે રાજુ કરપડાએ સાબિત કરી દીધું છે કે તેમનું વ્યક્તિગત વર્ચસ્વ પક્ષ કરતા પણ મજબૂત છે. ભાજપમાં જોડાયા બાદ આ બેઠક જીતવી તેમના માટે અસ્તિત્વની લડાઈ હતી. ખેડૂત નેતા તરીકેની તેમની છબી અને ભાજપના સંગઠન શક્તિના સંગમથી મૂળી-2 બેઠક પર ભાજપનો વિજય વાવટો લહેરાયો છે. વિજય બાદ તેમના સમર્થકોએ વિજય સરઘસ કાઢીને જીતની ભવ્ય ઉજવણી કરી હતી.