ભારતના પર્યાવરણ ઇતિહાસમાં એક આશ્ચર્યજનક અને ખૂબ જ મહત્વની ઘટના સામે આવી છે. ભારતમાં છેલ્લે વર્ષ ૧૯૧૪માં જોવા મળેલી એક અત્યંત દુર્લભ 'ડ્રેગનફ્લાય' એક સદી કરતાં પણ વધુ સમય પછી ફરીથી મળી આવી છે. અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં આવેલા પ્રખ્યાત નામદાફા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્યમાં ચાર વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા આ અદભુત શોધ કરવામાં આવી છે. આ દુર્લભ પ્રજાતિ ઓક્ટોબર 2024માં જોવા મળી હતી, પરંતુ તાજેતરમાં જ વિજ્ઞાન જગતના પ્રતિષ્ઠિત જર્નલ ઓફ થ્રેટેડ ટેક્સામાં પ્રકાશિત થયેલા એક સંશોધન લેખ દ્વારા તેને ઔપચારિક માન્યતા આપવામાં આવી છે.
વૈજ્ઞાનિક ભાષામાં 'ગાયનાકાંથા ખાસિયાકા' તરીકે ઓળખાતી આ પ્રજાતિ સામાન્ય રીતે 'લોંગ-ટેઇલ્ડ ડસ્કહોક' (લાંબી પૂંછડીવાળી ડ્રેગનફ્લાય) તરીકે જાણીતી છે. ભારતમાં છેલ્લે બ્રિટિશ શાસન દરમિયાન તત્કાલીન 'અબોર હિલ્સ' માંથી તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. હવે ૧૧૦ વર્ષ પછી આ જીવ જ્યાંથી પહેલીવાર મળ્યો હતો તેનાથી લગભગ ૬૦૦ કિલોમીટર દૂર પૂર્વ દિશામાં મળી આવ્યો છે, જે દર્શાવે છે કે આ જીવે બદલાતા સમય સાથે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.
આ દુર્લભ ડ્રેગનફ્લાય જંતુ જગતનું એક અદભુત અને રસપ્રદ જંતુ છે. અન્ય સામાન્ય ડ્રેગનફ્લાયની જેમ જ, તેની આંખો હજારો નાના લેન્સથી બનેલી હોય છે, જેના કારણે તે પોતાની આસપાસની જગ્યાઓનું એકસાથે ૩૬૦ ડિગ્રી જેટલું વિશાળ દ્રશ્ય જોઈ શકે છે. તે હવામાં એક જ જગ્યાએ સ્થિર રહી શકે છે, અચાનક પોતાની દિશા બદલી શકે છે અને પાછળની તરફ પણ ઉડી શકે છે. સંશોધકોએ જ્યારે આ નર ડ્રેગનફ્લાયને જોયો, ત્યારે તે ઓક્ટોબરની એક વાદળછાયી સવારે રસ્તા કિનારે ખૂબ જ ઝડપથી ઉડીને પોતાના વિસ્તારનું રક્ષણ (પેટ્રોલિંગ) કરી રહ્યો હતો.
૧૧૦ વર્ષ પછી કોઈ પ્રજાતિનું અચાનક પાછા ફરવું એ માત્ર વિજ્ઞાનની યાદી સુધારવા પૂરતું મર્યાદિત નથી. ડ્રેગનફ્લાયને પર્યાવરણ અને પ્રકૃતિના સ્વાસ્થ્યના 'કુદરતી સૂચક' (બાયો-ઇન્ડિકેટર) માનવામાં આવે છે. આ જંતુઓ માત્ર એવા જ વિસ્તારોમાં જીવતા રહી શકે છે જ્યાં પાણી એકદમ સ્વચ્છ હોય અને આસપાસનું વાતાવરણ પ્રદૂષણ મુક્ત અને શાંત હોય. તેથી, આ દુર્લભ ડ્રેગનફ્લાયનું ફરીથી મળવું એ સાબિત કરે છે કે નામદાફા નેશનલ પાર્કની ઇકોસિસ્ટમ આજે પણ ખૂબ જ મજબૂત અને કુદરતી રીતે શુદ્ધ છે.
આ નવી શોધે ભારતમાં પૂર્વોત્તર રાજ્યો અને ખાસ કરીને અરુણાચલ પ્રદેશની પ્રકૃતિની સમૃદ્ધિ પર ફરીથી પ્રકાશ પાડ્યો છે. સમગ્ર ભારતમાં ડ્રેગનફ્લાય અને ડેમસેલ્ફલાઈની કુલ ૫૦૪ જાણીતી પ્રજાતિઓ નોંધાયેલી છે, જેમાંથી આશરે ૧૧૦ જેટલી પ્રજાતિઓ તો માત્ર એકલા અરુણાચલ પ્રદેશના જંગલોમાં જ જોવા મળે છે.
આજના સમયમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગ અને જંગલોના વિનાશને કારણે હજારો જીવો પૃથ્વી પરથી લુપ્ત થઈ રહ્યા છે, ત્યારે ૧૧૦ વર્ષ પછી આ 'લાંબી પૂંછડીવાળા ડસ્કહોક' નું પાછા ફરવું એ કુદરત પ્રેમીઓ માટે આશાનું એક મોટું કિરણ લઈને આવ્યું છે. વૈજ્ઞાનિકો હવે આ વિસ્તારમાં આવા જંગલી લેન્ડસ્કેપ્સ અને પર્યાવરણના સંરક્ષણ પર વધુ ભાર મૂકી રહ્યા છે.