કોંગ્રેસના કાર્યદક્ષ અને વોર્ડ નં. ૧૨ના લડાયક કોર્પોરેટર જેનબબેન ખફીએ એકાએક કોંગ્રેસના તમામ હોદાઓ ઉપરથી રાજીનામુ આપતા ખળભળાટ મચી ગયો છે, થોડા સમય બાદ કોર્પોરેશનની ચુંટણી આવે છે ત્યારે આ નગરસેવીકાનું રાજીનામુ આવતા કોંગ્રેસને વોર્ડ નં. ૧૨માં ફટકો પડશે.
આજે બપોરે તેણીએ બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે હું વફાદારી પુર્વક જોડાયેલ છું પરંતુ કોંગ્રેસ પક્ષમાં હાલમાં અંદરો અંદરની લડાઇઓ, હુસાતુસી તેમજ જી હજુરીનું મહત્વ વધતુ જાય છે, તેમજ પક્ષની વિચારધારાને અવગણીને વ્યકિતગત લોકોના વિચારોને વધુ મહત્વ આપવામાં આવી રહયું છે.
જેનબ ખફીએ કોંગ્રેસના શહેર પ્રમુખને લખેલા રાજીનામાના પત્રમાં વધુમાં કહયું હતું કે જામનગર શહેર કોંગ્રેસમાં વ્યકિતગત સ્વાર્થને વધારે મહત્વ આપવામાં આવી રહયું છે, આવી પરિસ્થીતીમાં પક્ષમાં સક્રીયપણાથી કાર્ય કરવું હવે મારા માટે શકય નથી, આ નિર્ણય કઠોર છે અને જરૂરી પણ છે જેથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તમામ પદો પરથી હું આજે રાજીનામુ આપુ છું.
તેમણે પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યુ હતું કે વોર્ડ નં. ૧૨માં અમે ખુબ જ મહેનત કરી છે, અમારા મતદારોને સાથે રાખીને મેં આ નિર્ણય કર્યો છે, અગાઉ પ્રદેશ કક્ષાએ મે અવાર નવાર જાણ કરી હતી પરંતુ તેઓએ આ પ્રત્યે કોઇ ઘ્યાન આપ્યુ નથી, કયા પક્ષમાં જોડાશો તેવા પ્રશ્ર્નના જવાબમાં તેઓએ હાલ તો મૌન સેવ્યુ છે અને કહયુ હતું કે મે કોંગ્રેસમાં વફાદારી પુર્વક ૨૦ વર્ષ સુધી કામ કર્યુ છે, હવે આગામી દિવસોમાં ચુંટણીમાં વોર્ડ નં. ૧૨માં અમારી નવી પેનલ ચુંટણી લડશે.