BREAKING NEWS

ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય, 7 વર્ષ પછી ફરી મહેસૂલ વસૂલાતની સત્તા તલીટીઓને સોંપી, જાણો વિગતે

  • February 10, 2026 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મહેસૂલની વસૂલાતની સત્તા પર નવા ફેરફાર કરવામાં આવ્યા છે. આ સત્તા 2018માં જાહેર થયેલા એક જાહેરનામા અનુસાર, શરૂમાં તલાટીઓ પાસેથી લઈને સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરોને સોંપવામાં આવી હતી. પરંતુ હવે આ સત્તા 7 વર્ષ પછી ફરીથી તલાટીઓને સોંપવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી-2018માં પ્રસિધ્ધ થયેલા જાહેરનામા મુજબ મહેસૂલ ઉઘરાવવાની સત્તા તલાટીઓ પાસે હતી તે સત્તા તેઓ પાસેથી લઈને સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરોને સોંપવામાં આવી હતી. મેન્ટેનન્સ સર્વેયરોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા અપાતા જ શરૂઆતથી   જ વિરોધનો વંટોળ શરૂ થયો હતો. પ્રોપર્ટીકાર્ડ બનાવવા ઉપરાંત માપણી સહિતની કામગીરી તેમજ ઓછો સ્ટાફ હોવાથી કામના બોજના કારણે મહેસૂલની ઉઘરાણી મુશ્કેલ બનતી હતી.


આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે જાહેરનામું બહાર પડાવામાં આવ્યું હતું. ત્યારે જ સિટી સર્વે કચેરીઓએ માત્ર પરિવર્તનીય વિસ્તાર સ્પષ્ટ લખ્યું હતું પરંતુ તેનો અર્થ અલગ થતા તલાટીઓ દ્વારા વસૂલાતી મહેસૂલની રકમ સિટી સર્વે કચેરીઓના મેન્ટનન્સ સર્વેયરોના માથે નાખી દેવામાં આવી હતી.


આ અંગે ઉચ્ચ કક્ષાએ સિટી સર્વે કર્મચારીઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી. દરમિયાન તા.5 ફેબ્રુઆરીના રોજ સેટલમેન્ટ કમિશનરે એક પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા કલેકટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. આ નવા પરિપત્રના નિયમો મુજબ હવે મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારોમાં પરિવર્તનીય વિસ્તાર સિવાયના અને સિટી સર્વે સહિતના તમામ વિસ્તારોમાં બિનખેતીની ગામ નમૂના નંબર-2ની વસૂલાત પહેલાની જેમ જ પંચાયત વિભાગ દ્વારા એટલે કે તલાટીઓ દ્વારા કરવાની રહેશે.


સાત વર્ષથી વિવાદ ચાલતો હતો

મહેસૂલ વસૂલવાની સત્તા કોના માથે તે અંગે છેલ્લા સાત વર્ષથી વિવાદ ચાલતો હતો. અગાઉ જાહેરનામા મુજબ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તારોમાં પરિવર્તનીય વિસ્તાર એટલે કે સૂચિત સોસાયટીઓની મિલકતોનું મહેસૂલ વસૂલવા માટેની સત્તા સિટી સર્વે કચેરીઓને સોંપવામાં આવી હતી પરંતુ તેનો અર્થ અલગ કરીને તમામ મહેસૂલ વસૂલવાની કામગીરી સિટી સર્વે કચેરીઓના માથે નાંખી દેવાઈ હતી જેમાં સુધારો કરી નવો પરિપત્ર બહાર પાડવાની ફરજ પડી છે. હવે માત્ર સૂચિત સોસાયટીઓનું જ મહેસૂલ સિટી સર્વે કચેરીઓ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application