બંદરના બારામાં નવ-નવ વર્ષથી ડ્રેજીંગ નહી થતા રેતીના ડુંગર ખડકાયા છે તેમ જણાવીને પોરબંદર માચ્છીમાર બોટ એસો. દ્વારા મુખ્યમંત્રીથી માંડીને અનેક મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર બંદરના અસ્માવતીઘાટ પાસે બોટોને અવરજવર કરવાની બારાની મુખ્ય ચેનલમાં ઘણા વર્ષોથી ડ્રેજીંગ ન થવાથી હાલમાં બોટોને હાઇટાઇડ સમયે અવરજવર કરવુ પડે છે. જ્યારે બોટો માચ્છીમારી કરીને પરત આવી ગયેલ હોય તેમને જેટીની સામે ખુલ્લા દરિયામાં એન્કર કરીને હાઇટાઇડની રાહ જોવી પડતી હોય છે અને બોટમાં રહેલ કિંમતી માછલીઓ ખરાબ થઇ જવાથી માચ્છીમારોને તેમના પુરતા પ્રમાણમાં ભાગ પણ મળતા નથી અને માચ્છીમારોને તેમની નુકશાની ભોગવવી પડે છેે. પોરબંદર બંદરના અસ્માવતી ઘાટ પાસે બોટોને અવરજવર કરવાની બારાની મુખ્ય ચેનલની હાલત ખુબજ ખરાબ છે બંદરના બારાના મુખનું ડ્રેજીંગ છેલ્લે વર્ષ -૨૦૧૬-૧૭માં કરવામાં આવેલ હતું. ત્યારબાદ રેતીના ભરાવા થઇ ગયા બાદ સરકારને વારંવાર બ તેમજ લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી ત્યારે સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩માં બારાની મુખ્ય ચેનલપાસે હીટાચી મશીન દ્વારા રેતીના ઢગલા કરીને રેતી ઉપાડવામાં આવી હતી. પરંતુ ડ્રેજીંગની કોઇ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી. વર્ષો પહેલા જ્યારે જી.એમ.બી. હસ્તક બંદર હતુ ત્યારે નિયમિત રીતે વુફર રાર્જ દ્વારા ડ્રેજીંગ કરી અને રેતીનો મલબો બાર્જમાં ૦૫ નોટીકલ માઇલ દૂર દરિયામાં નિકાલ કરવામાં આવતો હતો. જ્યારે ફિશરીઝ વિભાગને બંદર અંદરના કામ સોંપવામાં આવેલ ત્યારથી ડ્રેજીંગની કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેમજ અસ્માવતીઘાટ પાસે વર્ષો પહેલા રેતીને રોકવા માટે બ્રેક વોટર બનાવવામાં આવેલ હતુ. તે સાયકલોનના દરિયામાં ભારે કરંટ હોવાથી તે હાલ ધોવાઇ ગયેલ છે. જ્યારે બ્રેકવોટર હતુ ત્યારે રેતીનો ભરાવો થતો ન હતો. માટે આપને આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવા અપીલ છે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી અને પોરબંદર માચ્છીમાર બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઇ પાંજરી, કિશોરભાઇ કુહાડા, સુનીલભાઇ ગોહેલ, રાજુભાઇ બાદરશાહી સહિત આગેવાનોએ ફિશરીઝમંત્રી જીતુભાઇ વાઘાણી અને મંત્રી પરસોતમભાઇ સોલંકીને રજૂઆત કરી હતી.