અમદાવાદની સેશન્સ કોર્ટમાં આજે શરમજનક ઘટના બની હતી. એડી. પ્રિન્સિપલ જજ એમ પી પુરોહિત પર એક ફરિયાદીએ જૂતું ફેંક્યું હતું. કોર્ટ પરિસરમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઉઠ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાની સેશન્સ કોર્ટમાં ફરિયાદીની અપીલ પર સુનાવણી ચાલતી હતી. એડી. પ્રિન્સિપલ જજ એમ પી પુરોહિતે અપીલ કાઢી નાખતા ફરિયાદી રોષે ભરાયો હતો. ઉશ્કેરાયેલા ફરિયાદીએ પોતાની જગ્યાએ ઊભો રહીને ગુસ્સેભર્યા અવાજમાં જજ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને બાદમાં પોતાના પગમાંથી જૂતું ઉતારી સીધું જજ તરફ ફેંકી દીધું હતું. આ કૃત્યથી ન્યાયાલયમાં હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા.
જોકે કોર્ટમાં હાજર સુરક્ષા કર્મીઓ તુરંત જ હરકતમાં આવી ગયા હતા અને જૂતું ફેંકનાર શખ્સની અટકાયત કરી લીધી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત કડક કરાયો હતો. અન્ય ન્યાયાધીશો અને વકીલોએ આવી હરકતને કાયદા પર હુમલો થયો હોવાનું કહી ઘટના અંગે રોષ ઠાલવ્યો હતો.સુરક્ષા વ્યવસ્થા મુદ્દે પણ ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે ન્યાયના મંદિરમાં આવી ઘટના કેવી રીતે બની?
ન્યાય તંત્રની ગરિમા સાચવવી એ દેશના દરેક નાગરિકની ફરજ છે. ન્યાયાધીશ સમક્ષ આ પ્રકારની હરકત કરવી એ ક્યારેય ના ચલાવી લેવાય તેવી કોર્ટમાં હાજર વકીલો અને ન્યાયાધીશોમાં ચર્ચા ઉઠી હતી. તાજેતરમાં દેશની સુપ્રીમ કોર્ટમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો.