આજે ટેકનોલોજીના યુગમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે માતાજીના માંડવામાં છ પશુની બલિ ચડાવવામાં આવી હોવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. ખાનગી ફાઉન્ડેશન દ્વારા રેડ પાડવામાં આવતા સમગ્ર ઘટના સામે આવી હતી. રેડ દરમિયાન 9 પશુને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે રેડ પડતા જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9 જીવતા પશુઓને બચાવી લેવામાં સફળતા મળી
મળતી માહિતી મુજબ, એક ખાનગી સંસ્થા જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ સ્થળ પર રેડ કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા ત્યારે 6 પશુઓની બલી અપાઈ ચૂકી હતી. જોકે, તેમની ત્વરિત કાર્યવાહીને કારણે અન્ય 9 જીવતા પશુઓને બચાવી લેવામાં સફળતા મળી હતી.
ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી
રેડની જાણ થતાં જ આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતાં, રાજકોટની થોરાળા પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.