યાત્રાધામ માધવપુરમાં વહીવટીતંત્રએ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી

  • May 03, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સુપ્રસિધ્ધ યાત્રાધામ માધવપુરમાં ઘણા વર્ષોથી સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યુ હતુ અને તેને દૂર કરવા માટે બાર બાર વર્ષથી લડત ચલાવવામાં આવતી હતી ત્યારે અંતે જિલ્લા કલેકટરની સૂચનાથી દબાણ દુર કરીને કરોડો ‚પિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
પોરબંદર તાલુકાના માધવપુર ગામે શહેરના પાદરમાં આવેલા ડો. આંબેડકરચોકમાં છેલ્લા કેટલાક લાંબા સમયથી કેટલાક આડેધડ ગેરકાયદે દબાણો ખડકાય જવાથી આંબેડકરચોકની જગ્યા સદંતર દબાઇ જવા પામી હતી. આવા ગેરકાયદે દબાણોને દૂર કરવાની માંગણી સાથે અહીંના સમાજિક કાર્યકર અનુસૂચિત જાતિના અગ્રણી અને પત્રકાર શાંતિલાલ મેવાડાએ માધવપુરના આંબેડકરચોકમાંથી આવા ગેરકાયદેસર દબાણોને દુર કરવા માટે તા. ૧૩-૩-૨૦૧૩થી સતત લડત ચલાવી રહ્યા હતા જેનો આજે બાર વર્ષની લાંબી લડાઇ બાદ સફળતા મળી હતી અને અંતે આજે તા. ૨-૫-૨૦૨૫ના માધવપુરના આંબેડકરચોકમાંથી આવા ગેરકાયદે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સવારના સાડા દશ વાગ્યાથી પૂરતા પોલીસ કાફલા અને બંદોબસ્ત સાથે પોરબંદર તાલુકા વિકાસ અધિકારી જે.એલ.ઠકરારની સીધી દેખરેખ હેઠળ નિમાયેલી અલગ-અલગ ટીમોને સાથે રાખી માધવપુર ગ્રામ પંચાયતના સરપંા ભનુભાઇ ભુવા અને તલાટીમંત્રી ગજેન્દ્ર લાડવા સહિત પંચાયતના સ્ટાફ અને પંચાયતના સભ્યોને સાથે રાખીને બે જે.સી.બી. મારફતે મેગા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં સાંજ સુધીમાં માધવપુરના આંબેડકરચોકમાં આડેધડ ખડકાયેલ ૨૩ જેટલી દુકાનોનો કડૂછલો બોલાવી દેવાયો હતો. આ ઉપરાંત આંબેડકરચોકની આજુબાજુના મોટા જાપા વિસ્તારમાં આવેલી અન્ય દુકાનો મળી કુલ ૩૬ જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતુ. અને વર્ષોથી સરકારી જમીન પર  ખડકાયેલા ગેરકાયદે દબાણોને દૂર કરીને અંદાજે કરોડો ‚પિયાની સરકારી જમીનને ખુલ્લી કરાવી હતી. ડીમોલીશનની કાર્યવાહી દરમિયાન કોઇ અઘટિત ઘટના  કે આગ જેવી ઘટના ન ઘટે તેવા હેતુથી ફાયરબ્રિગેડની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. અને ૧૦૮ ઇમરજન્સી સેવાને પણ સ્થળ પર હાજર રાખવામાં આવી હતી.
માધવપુરના આંબેડકરચોકમાં ગેરકાયદે દબાણો કરનાર દબાણકર્તાઓ કોઇપણ ભોગે પોતાના દબાણોને કાયમી માટે જાળવી રાખવા અને નહી હટાવવા સામ,દામ, દંડ અને ભેદની નીતિ અખત્યાર કરવામાં આવી હતી. જેના લીધે આંબેડકર ચોકમાંથી આવા દબાણોને દૂર કરવા માટે બાર વર્ષ જેવો સમય લાગ્યો હતો. 
પરંતુ માધવપુરના સામાજિક કાર્યકર અને કોઇપણ જાતની હિંમત હાર્યા વિના આંબેડકર ચોકમાંથી દબાણો દૂર કરાવીને જ જંપીશ તેવો મનોમન નિર્ધાર કરી લીધો હતો અને સમાજના લોકો પાસેથી એકપણ ‚પિયાનો ફંડફાળો લીધા વિના સમાજના  હિત માટે માધવપુરના આંબેડકરચોકમાંથી ગેરકાયદેસરના દબાણોને હટાવવા માટે અને  હિંમત હાર્યા વિના કે વેચાયા વિના સતત બાર વરસ સુધી લડત ચલાવી હતી. જેના પરિણામ ‚પે લાંબાગાળે સફળતા મળી હતી. આ સફળતાના સાચા હકકદાર નવા આવેલા પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ પોરબંદર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમા ગેરકાયદે દબાણો દુર કરવાની જાહેરાત કરી હતી અને નવનિયુકત  જિલ્લા વિકાસ અધિકારી માધવપુરના આંબેડકરચોકમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારી જે.એલ. ઠકરારને લેખિત સૂચના આપેલ હોવાથી માધવપુરના આંબેડકરચોકમાંથી આવા ગેરકાયદે દબાણોને હટાવવાના હુકમો થતા માધવપુર ગ્રામ પંચાયત દ્વારા ફરજિયાત આવા દબાણો હટાવવાની ફરજ પડેલી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application