જન્મ-મરણ નોંધણીમાં લાઇનો લાગી, ચેરમેન દોડી ગયા

  • May 14, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવતા અરજદારોમાંથી લગભગ ૭૫ થી ૮૦ ટકા અરજદારો જન્મ-મરણ નોંધણી વિભાગમાં પ્રમાણપત્ર મેળવવા આવતા હોય છે, દરમિયાન છેલ્લા એકાદ મહિનાથી જન્મ-મરણ નોંધણી વિભાગમાં રોજ સવારે ૧૦ કલાકે કચેરી ખુલતાની સાથે અરજદારોની લાંબી લાઇન લાગતી હોય અને બપોરે બે વાગ્યે રિસેસ પડે ત્યાં સુધી આ લાઈન યથાવત રહેતી હોય આજે અંગેની ફરિયાદો મળતા આરોગ્ય કમિટી ચેરમેન કેતનભાઇ પટેલ જન્મ મરણ નોંધણી વિભાગમાં દોડી ગયા હતા અને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, તદઉપરાંત ત્રીજા માળે બેસતા આરોગ્ય અધિકારીને પણ તેમની ચેમ્બરમાંથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી જન્મ-મરણ નોંધણી શાખામાં બોલાવ્યા હતા અને જરૂરી આદેશો જારી કર્યા હતા. ખાસ કરીને આવતીકાલથી જ જન્મ મરણ નોંધણી શાખામાં અરજદારોને લાઈનમાં ઉભું રહેવું ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી.

પાસપોર્ટ કચેરી ખાતે વહેલી સવારથી લાઈન લાગી જતી હોય તેવી જ લાઈન જન્મ મરણ નોંધણી શાખા ની કચેરી બહાર કચેરી ખુલે તે પૂર્વેથી જ લાગી જતી હોય આ અંગે આરોગ્ય કમિટી ચેરમેન કેતનભાઇ પટેલને ફરિયાદ મળતા આજે તેમણે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું અને લાઈનમાં ઉભેલા તમામ અરજદારોને બેસવા માટે ખુરશીની તાત્કાલિક વ્યવસ્થા કરાવી હતી તેમજ સિવિક સેન્ટરના આગળના ભાગે છાંયડો કરવા સુચના આપી હતી તદઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા કરાવી હતી તેમજ આ પ્રકારની વ્યવસ્થા કાયમી ધોરણે ઉપલબ્ધ રહે તે માટે મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ.વકાણીને સુચના આપી હતી.

આરોગ્ય કમિટી ચેરમેન કેતનભાઇ પટેલએ જન્મ-મરણ નોંધણી વિભાગના રજિસ્ટ્રાર પ્રેરિતભાઈ જોષીને સાથે રાખીને સમગ્ર બ્રાન્ચની અને તમામ ટેબલની વિઝીટ કરી હતી. કોને ક્યાં આગળ શું મુશ્કેલી પડે છે અને કયા કારણોસર લાઈન લાગે છે તેની માહિતી મેળવ્યા બાદ મુખ્ય આરોગ્ય અધિકારીને જન્મ મરણ નોંધણી બ્રાન્ચમાં બોલાવ્યા હતા અને અરજદારોની કેટલી લાંબી લાઈન છે તે બતાવી હતી તેમજ આવતીકાલથી જ આવી લાઈનો ન લાગે તે માટે શું કરવું તેની વ્યવસ્થા કરવા આદેશ કર્યો હતો. હાલની સ્થિતિએ જન્મ મરણ નોંધણી વિભાગમાં કુલ છ કોમ્પ્યુટર સિસ્ટમ કાર્યરત હતી પરંતુ અરજદારોનો ધસારો જોતા તાત્કાલિક અસરથી ચેરમેને નવી ચાર કોમ્પ્યુટર સિસ્ટમ મુકાવતા હવે કુલ ૧૦ સિસ્ટમ કાર્યરત થઈ છે



રાજકોટ મહાનગરપાલિકાના તમામ ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસ ખાતેથી જ જન્મ મરણ નોંધણીના દાખલા મળી રહે તે માટેનું પ્લાનિંગ હાથ ધરાયું છે અને ટૂંક સમયમાં તેની અમલવારી શરૂ થશે તેમ આરોગ્ય કમિટિ ચેરમેન કેતનભાઇ પટેલએ જણાવ્યું હતું. નવા દાખલા તેમજ જૂના દાખલામાં સુધારાની કામગીરી ઝોન ઓફિસ ખાતેથી જ થશે પરંતુ કોઈ પણ દાખલાની નકલ જે તે વોર્ડની વોર્ડ ઓફિસ ખાતેથી મળી રહે તેવી વ્યવસ્થા નિર્માણ કરવા માટે સોફ્ટવેરમાં જરૂરી સુધારા વધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


પુરૂ નામ લખવાના આધારના નિયમને કારણે ધસારો

જન્મ મરણ નોંધણી વિભાગના રજિસ્ટ્રાર પ્રેરિતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, જન્મના દાખલામાં હાલ સુધી બાળકના નામ સામે ફક્ત બાળકનું નામ લખવામાં આવતું હતું પરંતુ હવે આધારકાર્ડના નવા નિયમો અનુસાર બાળકનું નામ લખ્યું હોય ત્યાં આગળ બાળકના નામ સાથે પિતાનું નામ અને સરનેમ તે રીતે પૂરું નામ લખવાનું રહેશે તો જ તે જન્મ નોંધણી પ્રમાણપત્ર નવું આધાર કાર્ડ બનાવતી વખતે અથવા તો આધાર કાર્ડ માં સુધારા વધારા વખતે માન્ય રહે છે. આવા કારણોસર હાલ જન્મના દાખલામાં સુધારાનું પ્રમાણ વધતાં લાઈનો લાગી રહી છે,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application