'હું CM નહોતો એ પહેલાં પણ સીએમ હતો...ઘડીના છઠ્ઠા ભાગમાં મેં રાજીનામું આપી દીધું' વિજયભાઈ રૂપાણીના આ શબ્દો ઈતિહાસમાં કંડારાય ગયા

  • June 15, 2025 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતા રાજ્યમાં શોકનો માહોલ છે. વિજયભાઈએ સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ રાજકોટના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 'હું CM નહોતો એ પહેલાં પણ સીએમ હતો, સીએમ એટલે કોમનમેન. ઘડીના છઠ્ઠા ભાગમાં મેં રાજીનામું આપી દીધું


11 સપ્ટેમ્બર, 2021ના રોજ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું

બીજીવાર મુખ્ય મંત્રી તરીકેના શપથ લીધાનાં પાંચ વર્ષ બાદ 11 સપ્ટેમ્બર, 2021ના રોજ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ તેમની જગ્યા ભૂપેન્દ્ર પટેલે લીધી, જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. 2022માં એક ઇન્ટરવ્યૂમાં રૂપાણીએ જણાવ્યું હતું કે દસમી સપ્ટેમ્બરની રાત્રે તેમને ભાજપના એક રાષ્ટ્રીય નેતાએ કહ્યું કે તેમને રાજીનામું આપવાનું છે અને પાર્ટીના આદેશનું સન્માન કરતાં તેમણે બીજે દિવસે જ રાજીનામું ધરી દીધું.​​​​​​​


પાર્ટી જે સોંપે, જે કરવાનું હોય તે કરવાનું છે

રાજીનામું આપ્યાના એક અઠવાડિયા બાદ રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતાં રૂપાણીએ કહ્યું હતું કે, હું સીએમ ન હતો એ પહેલાં પણ સીએમ હતો, સીએમ વખતે પણ સીએમ હતો અને આજે પણ સીએમ છું. સીએમનો મતલબ, કોમન મેન (સામાન્ય માણસ), તમારામાંનો એક કાર્યકર્તા અને એ કાર્યકર્તા કે પાર્ટી જે સોંપે, જે કરવાનું હોય તે કરવાનું છે. અને એટલા જ માટે, ઘડીના છઠ્ઠા ભાગમાં મેં રાજીનામું આપી દીધું. 


એક સરપંચનું તો રાજીનામું માંગો

આ એટલા માટે, રાજકોટના કાર્યકર્તા કરી શકે...રાજકોટમાં સ્વર્ગસ્થ અરવિંદભાઈ, સ્વર્ગસ્થ ચીમનકાકા, સ્વર્ગસ્થ કેશુભાઈ, સ્વર્ગસ્થ પ્રવીણકાકા, વજુભાઈ આ બધાએ આપણામાં સંસ્કાર સીંચ્યા છે .બાકી છોડવું અઘરું હોય છે. એક સરપંચનું તો રાજીનામું માંગો પરંતુ આપણે એટલા માટે કહીએ છીએ કે આપણે પદને કોઈ મહત્ત્વ નથી આપતા.


વિજય રૂપાણી ખૂબ મહેનતુ રાજકારણી હતા

રૂપાણી આ મીટિંગને સંબોધન કરતા હતા ત્યારે ત્યાં હાજર ભાજપના કેટલાય કાર્યકર્તાઓની આંખો ભીની થઈ ગઈ હતી. વિજય રૂપાણી ખૂબ મહેનતુ રાજકારણી હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી એબીવીપીમાં અને પછી ભાજપમાં આવ્યા. ભાજપને સૌરાષ્ટ્રમાં મજબૂત કરવામાં જો કેશુભાઈ પટેલ પછી બીજા કોઈ નેતાનું નામ આવે તો તે વિજય રૂપાણી છે. તેઓ વર્ષો સુધી મહેનત જ કરતા રહ્યા.


તેમને જે મળવું જોઈતું હતું એ ખૂબ મોડું મળ્યું

વિધાનસભાની સાત ચૂંટણીઓમાં એ વખતના નાણામંત્રી ફોર્મ ભરતા ત્યારે સાત વાર વિજયભાઈએ તેમના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યાં હતાં. આટલી મહેનત છતાં તેમને જે મળવું જોઈતું હતું એ ખૂબ મોડું મળ્યું.


છેક 2014માં સરકારમાં મંત્રી બની શક્યા

તેઓ છેક 2014માં સરકારમાં મંત્રી બની શક્યા. હા, તેમને મુખ્ય મંત્રીપદ અણધારી રીતે મળી ગયું. પરંતુ, મુખ્યમંત્રી બન્યા બાદ પણ તેમણે સખત પરિશ્રમ ચાલુ રાખ્યો. આથી, ભાજપે તેમની જે રીતે હકાલપટ્ટી કરી તે અણછાજતી હતી. એ વાત ખરી છે કે તે વખતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે તેમના ચોકા બદલતા અને રાજકીય કારણોસર તેમની સરકાર સામે ભ્રષ્ટારચારના આક્ષેપ થયા હતા. પરંતુ, આવા આક્ષેપ તો સરકારો સામે થતા રહે. ભાજપે તેમની સન્માનપૂર્વક વિદાય થવી જોઈતી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application