કુતિયાણાના બાવળાવદર ગામે રહેતા યુવાનને ગોંડલ નજીક ચરખડી ગામના પાટીયા પાસે તેની સાથે કામ કરનાર ત્રણ શખસોએ પાઇપ અને ઢીકાપાટુનો મારમારી પગ ભાંગી નાખ્યો હતો. અગાઉ સાણંદ ચોકડી પાસે સોયલ ગામે ગેટ બનાવવાનું કામ તેઓ સાથે કરતા હતા. જે કામ યુવાનના લીધે હાથમાંથી ગયું હોવાની સહકાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કુતિયાણા તાલુકાના બાવળાવદર ગામે રહેતા અતુલભાઇ રાજાભાઈ સોંદરવા (ઉ.વ 36) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાયાવદરના જયપ્રકાશ જાદવ અને જૂનાગઢના ખોરાસા ગામના રાજુ તથા ઉમેશનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, એકાદ મહિના પહેલા તે જયપ્રકાશ જાદવ, કાળુ સોંદરવા, રાજુ અને ઉમેશ સાથે સાણંદ ચોકડી પાસે આવેલ સોયલા ગામે પથ્થરના ગેટ બનાવવાનું મજૂરીકામ કરતો હતો. અહીં કામ બંધ થઈ જતા ઘરે જવું હોય જેથી યુવાન તારીખ 16/9/2025 સાણંદથી પ્રાઇવેટ વાહનમાં ઘરે આવવા માટે નીકળ્યો હતો. જ્યારે જયપ્રકાશ, કાળુ, રાજુ અને ઉમેશ પોતાનું વાહન લઇ ઘરે જવાની નીકળ્યા હતા. ગોંડલ ચોકડી પાસે પહોંચતા આ શખસો સાથે મુલાકાત થઈ હતી અને તેમણે ચરખડી ગામે ગેટ બનાવવાનું કામ રાખ્યું છે જે અધૂરું છે તેનું કામ ચાર પાંચ દિવસ જેટલું હોય જે કામ પૂરું કરીને ઘરે જશી તેમ વાત કરતા બધા અહીં ગયા હતા.
ત્યારબાદ રાત્રિના 11:00 વાગ્યા આસપાસ વિરપુર પાસે આવેલ બાબારી પેટ્રોલ પંપ પાસે પહોંચતા જયપ્રકાશે પોતાનું બાઈક ઊભું રાખી યુવાનને કહ્યું હતું કે, મારું સોયલ ગામે રાખેલ કામ મારા હાથમાંથી ગયું છે જેથી યુવાને કહ્યું હતું કે, તેમાં મારો કોઈ વાંક નથી. બાદમાં આ બાબતે જયપ્રકાશ અને ઉમેશ ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા. બાદમાં રાજુ અને કાળું પણ આવી ગયા હતા. દરમિયાન રાજુએ અચાનક ઉશ્કેરાય બાઈકમાંથી પાઇપ કાઢી યુવાનને પગમાં મારી દેતા તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ તેને ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદમાં આ શખસો અહીંથી બાઈક લઇને ચાલી ગયા હતા. ત્યારબાદ અહીંથી કોઈ રાહદારી પસાર થતા યુવાને તેને વાત કરતા તેને 108 મારફત જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં પરિવારજનોને જાણ કર્યા બાદ યુવાનને વધુ સારવાર માટે જુનાગઢ અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમાં યુવાને પગમાં ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. બાદમાં તેને આ અંગે ત્રણેય શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.