આરટીઇમાં એડમિશન મેળવનાર માટે પ્રવેશ કન્ફર્મ કરવાની કાલે છેલ્લી તક

  • May 07, 2025 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ની જોગવાઈ મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે જોગવાઈ છે. નવા શૈક્ષણિક સત્ર માટે આ જોગવાઈ અંતર્ગત અરજીઓ માગવામાં આવી હતી. રાજ્યની ખાનગી શાળાઓમાં જુદા જુદા માધ્યમમાં કુલ 93,860 જગ્યા ઉપલબ્ધ છે. આ 93,860 માંથી 7,586 જગ્યા માટે કોઈ વિદ્યાર્થી કે વાલી એ માગણી ન કરતા પ્રથમ રાઉન્ડ યોજાય તે પહેલા જ આ જગ્યાઓ ખાલી પડી છે.

તારીખ 28 એપ્રિલના રોજ પ્રથમ રાઉન્ડમાં 86,274 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા બાદ તમામને એસએમએસ થી જાણ કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે પાત્ર છે તેમણે તારીખ 8 સુધીમાં જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લેવા માટે અગાઉ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના મુજબ પ્રવેશ કન્ફર્મ નહીં કરાવનાર વિદ્યાર્થીની બેઠક ખાલી ગણવામાં આવશે અને આગામી દિવસોમાં યોજાનારા બીજા રાઉન્ડમાં આવી ખાલી સીટ આવરી લઈ એડમિશન માટે કાર્યવાહી કરવામાં આવશે.

નવા શૈક્ષણિક સત્ર માટે કુલ 2,38,916 અરજીઓ આવી હતી. ઓનલાઇન મળેલી આ અરજીઓ માંથી 1,75,685 અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. અધૂરા દસ્તાવેજો જેવા જુદા જુદા કારણો હેઠળ 13,761 અરજીઓ અમાન્ય જાહેર કરવામાં આવી હતી. જયારે 49,470 વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતે કરેલી અરજી રદ કરી હતી.

રાજ્યમાં કુલ 9741 ખાનગી પ્રાથમિક શાળાઓ છે અને તેમાં 93,860 જગ્યાઓ આરટીઇ અંતર્ગત ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓની પસંદગી અને 6 કીલોમીટર ની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application