રોકાણ પર સારા વળતરની લાલચે બે શિક્ષકોએ ૫.૫૦ લાખ ગુમાવ્યા

  • June 02, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મૂળ જૂનાગઢના વતની અને હાલ સાસણમાં સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર આધેડ અને તેના અન્ય શિક્ષક મિત્રને રોકાણ પર સારા વળતરની લાલચ આપી રૂપિયા 5.50 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. રાજકોટના ગોંડલ રોડ પર સમૃદ્ધિ ભવનમાં ઓફિસ ધરાવનાર વિહાન કેપિટલના સંચાલકે શરૂઆતમાં વળતર આપ્યા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અહીં આવી તપાસ કરતા ઓફિસને તાળા લાગી ગયાનુ માલુમ પડ્યું હતું. જેથી આ ફરિયાદ નોંધાવી છે.



જાણવા મળતી વિગતો મુજબ, મૂળ જૂનાગઢમાં એકતાનગર સોસાયટીમાં રહેતા અને હાલ સાસણમાં રામેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા અને અહીં સાસણની સીઆરસી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરનાર પૃથલકુમાર ભીમજીભાઈ ડાબસરા (ઉ.વ 48) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજય ભાણજીભાઈ રાઠોડનું નામ આપ્યું છે.



ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર જયપાલ જૂનાગઢમાં શાળામાં અભ્યાસ કરતો હોય તેની સાથે તેનો મિત્ર દક્ષ વિપુલભાઈ વેકરીયા પણ અભ્યાસ કરે છે. દક્ષના પિતા વિપુલભાઈ વેકરીયા પણ રાજકોટમાં ખાનગી શાળામાં શિક્ષક હોય દરમિયાન આ વિપુલભાઈ સાથે ફરિયાદીને પરિચય થયા બાદ બંને મિત્ર થયા હતા. અઢી વર્ષ પૂર્વે વિપુલભાઈ ઘરે બેસવા આવ્યા ત્યારે ફરિયાદીને વાત કરી હતી કે, મારા ફેસબુકમાં વિહાન કેપિટલ રીફેર એન્ડ અર્નની જાહેરાત આવી હતી. જેમાં 5 ટકા સુધીનું વળતર મળે છે. તેમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી હતી. બાદમાં તા. 29/11/2023 ના ફરિયાદી અહીં પરિવાર સાથે રાજકોટ કપડાની ખરીદી કરવા આવ્યા હોય ત્યારે આ વિહાન કેપિટલની મુલાકાત કરવા જાહેરાતમાં આપેલ નંબર પર કોલ કરતા અજય રાઠોડ નામના વ્યક્તિએ ફોન રીસીવ કર્યો હતો. બાદમાં તેઓ તેમને રૂબરૂ મળવા ગયા હતા. અહીં રાજકોટમાં ગોંડલ રોડ પર સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાં ચોથા માળે 14 નંબરની ઓફિસમાં વિહાન કેપિટલની આ પેઢી આવેલી હોય તેના સંચાલક અજય રાઠોડએ ફરિયાદીને કહ્યું હતું કે, નિફ્ટીની નામાંકિત 200 કંપનીમાં તમારા રૂપિયાનું રોકાણ કરી આપશું અને સારું એવું વળતર આપીશું. તેમાંથી હું તમને પાંચ ટકા વળતર આપીશ અને બાકીનું વળતર હું રાખીશ પ્રોફિટ હું તમને દર મહિનાની 1 થી 10 તારીખમાં આપી દઈશ અને ઓછામાં ઓછું એક લાખનું ઇન્વેસ્ટ કરવું પડશે તેવું તેમને સમજાવ્યું હતું.



બાદમાં ફરિયાદીએ કટકે કટકે કુલ રૂપિયા 3.50 લાખનું રોકાણ કર્યું હતું. જ્યારે તેમના મિત્ર વિપુલભાઈ વેકરીયાએ રૂપિયા બે લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં તેમને અજય રાઠોડ દ્વારા વળતર આપવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2024 માં ફોલોઅપ માટે ફરિયાદીએ તેને ફોન કરતા તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને વળતર પણ આપતો ન હતો. જુલાઈ 2024માં ફરિયાદી અહીં વિહાન કેપિટલની ઓફિસે આવી તપાસ કરતા ઓફિસમાં તાળું મારેલું હતું અહીં પૂછતા ઓફિસ બંધ કરીને અમદાવાદમાં કરી છે તેઓ જવાબ મળ્યો હતો. ત્યારબાદ અજય નવાગામમાં રહેતો હોવાનું માલુમ પડતા ત્યાં જઈ પૂછતા તેના પિતાએ કહ્યું હતું કે, અજય ક્યાં છે મને ખબર નથી તે રાજકોટમાં આંબેડકર નગર જામનગર રોડ પર ક્યાંક રહે છે. ત્યારબાદ તેની તપાસ કરી હતી પરંતુ અજયનો કોઈ પતો ન લાગતા અંતે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી સાથે રૂપિયા 3.50 લાખ અને તેના મિત્ર વિપુલભાઇ વેકરીયા સાથે રૂપિયા બે લાખ કુલ રૂપિયા 5.50 લાખની છેતરપિંડી થયાનું જણાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application